(એજન્સી) જેરૂસલેમ/ગાઝા, તા.૨૬
ઓક્યુપાઇડ વેસ્ટ બેંક (કબજા હેઠળના પશ્ચિમ કાંઠા)માં વધી રહેલી હિંસા અને યહૂદી સેટલર્સ (વસાહતીઓ)ના હુમલા વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે ઇઝરાયેલ આ વિસ્તારમાં “વધુ વ્યાપક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.” પત્રકારો સાથે વાતચીતમાં નેતાન્યાહૂએ કહ્યું હતું કે, “અમે સેનાને ગામડાઓમાં પ્રવેશવા, તલાશી લેવા, શસ્ત્રો જપ્ત કરવા અને શંકાસ્પદોની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે.” તેમણે ઉમેર્યું હતું કે ઇઝરાયેલ આતંકવાદીઓના ગઢ ગણાતા વિસ્તારો સામે હજુ પણ આકરા પગલાં લેવા તત્પર છે. આ દરમિયાન, ઇઝરાયેલી સૈનિકોએ પશ્ચિમ કાંઠાના નાબ્લુસ શહેરમાં વહેલી સવારે મોટા પાયે દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન સેનાએ એક મહિલા અને પૂર્વ કેદીઓ સહિત આશરે ૪૦ જેટલા ફિલિસ્તીનીઓની અટકાયત કરી છે. બીજી તરફ, વેસ્ટ બેંકમાં યહૂદી સેટલર્સ દ્વારા કરવામાં આવતી હિંસા સામે પણ ખુદ ઇઝરાયેલની અંદર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે, જ્યાં સ્થાનિક નાગરિકો આ ઘાતક હિંસાની નિંદા કરી રહ્યા છે. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે તેણે ઉત્તર ગાઝામાં કરેલા હવાઈ હુમલાઓમાં હમાસના બે મુખ્ય સભ્યોને ઠાર કર્યા છે. સેનાના જણાવ્યા અનુસાર, ગત મંગળવારે કરાયેલા હુમલામાં હમાસના અધિકારી ફારેસ અલ-મસરીનું મોત નીપજ્યું હતું, જે હમાસના પુનર્નિર્માણ પ્રયાસો હેઠળ હથિયારો બનાવવાના કામમાં સામેલ હતો. આ ઉપરાંત, ઉત્તર ગાઝામાં જ કરાયેલા એક અલગ હુમલામાં હમાસની સ્પેશિયલ ફોર્સ ‘નુખબા’ના સભ્ય મોહમ્મદ અબુ શકીયાનને પણ ઠાર કરવામાં આવ્યા છે. સેનાનો આરોપ છે કે આ બંને સભ્યો તાજેતરમાં ઇઝરાયેલી દળો અને નાગરિકો વિરુદ્ધ ષડયંત્રો રચવામાં સક્રિય હતા. વેસ્ટ બેંકમાં સેટલર્સ દ્વારા વધી રહેલી અંધાધૂંધ હિંસા સામે આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સ્પેન સરકારે ઇઝરાયેલી સેટલર્સ દ્વારા ફિલિસ્તીની નાગરિકો પર થઈ રહેલા સતત હુમલાઓ અને તેમને મળતી છૂટછાટોની સખત શબ્દોમાં નિંદા કરી છે. સ્પેને શુક્રવારે ‘તાલ’ નામના ગામમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ચાર ફિલિસ્તીની નાગરિકો અને બે ઇઝરાયેલી સેટલર્સના મોત થયા હતા. સ્પેન સરકારે એક નિવેદન બહાર પાડીને ઇઝરાયેલને સ્થિતિ થાળે પાડવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. વધુમાં, સ્પેને સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલે વસાહતોના વિસ્તરણની પોતાની નીતિઓ પાછી ખેંચવી જોઈએ અને એક કબજેદાર સત્તા તરીકે ફિલિસ્તીની નાગરિકોની સુરક્ષા કરવાની પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવી જોઈએ.