(એજન્સી) ઈસ્લામાબાદ, તા. ૧૭
પાકિસ્તાન સ્થિત આતંકવાદી વિરોધી કોર્ટે સાત વર્ષીય માસૂમ જૈનબની બળાત્કાર કરીને હત્યા કરનાર સીરિયલ કિલર ઈમરાન અલીને ફાંસીની સજા ફટકારી છે. ઈમરાન અલીને પંજાબ ફોરેન્સિક સાયન્સ એજન્સી, નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરીટી, કાઉન્ટર ટેરરિઝમ ઓથોરીટી અને લશ્કરી એજન્સીઓ દ્વાર ૧૪ દિવસના સંયુક્ત પ્રયાસો બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, ફોરેન્સિક એજન્સીઓએ ૧૦૦૦ સેમ્પલ અને ૧૫૦ ડીએનએની તપાસ કર્યા બાદ દુષ્કર્મ આચરનારની ઓળખ થઈ હતી. ઈમરાન જૈનબનો પડોશી છે. પાંચ જાન્યુઆરીનાી રોજ લાપત્તા બનેલી જૈનબનું શબ ૯ જાન્યુઆરીના રોજ શાહબાઝ ખાન રોડ પર કચરાના ઢગલામાંથી મળી આવ્યું હતું. તેના માતાપિતા સાઉદી અરેબિયા ગયાં હતા અને તેને એક સબંધીને ત્યાં મુકીને ગયાં હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. પાકિસ્તાનને ખળખળાવી મૂકનાર આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયું હતું લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. પોલીસ બેદરકારીની સામે હિંસક પ્રદર્શન થયું હતું. કોટ લખપત જેલમાં કેમેરાની સામે ચુકાદો જાહેર કરતાં એટીસી જજ સજ્જાદ હુસને આરોપીને પુરાવાને આધારે ફાંસીની સજા ફટકારી હતી. સરકારી વકીલે મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું કે આરોપીને તેની જાતનો બચાવ કરવા માટે ઘણી તકો આપવામાં આવી હતી પરંતુ તેણે ગુનો કબૂલી લેવાનું પસંદ કર્યું. જાન્યુઆરીમાં તેની ધરપકડ કરવામાં આવી. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વાર કોઈ કેસમાં આટલી ઝડપે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. ફક્ત ચાર દિવસની સુનાવણી બાદ દોષીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.