(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૫
શહેરના નાનપુરાના બહુમાળી સામે આવેલી મી. એન્ડ.મમી હોસ્પિટલમાં સંતાન પ્રાપ્તિની સારવાર માટે ગયેલી મહિલા પર તપાસના નામે ગાયનેક ડો. પ્રફુલ બી. દોષીએ ધાક-ધમકી આપી તેણીની મરજી વિરૂદ્વ શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી છે. આ ઘટનાને પગલે શહેરના ડોક્ટર આલમમાં ભારે હાહાકારની લાગણી મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષિય મહિલાએ ગત મોડી સાંજે અઠવા પોલીસ મથકમાં શહેરની પ્રખ્યાત ગણાતી મી. એન્ડ. મમ્મી હોસ્પિટલ ખાતે ગાયનેક તરીકે ફરજ બજાવતા ડો. પ્રફુલ બી. દોષી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસાર મહિલાને સંતાન ન થતા હોય જેથી નાનપુરા ખાતે આવેલા પ્રખ્યાત ગણાતી મી. એન્ડ. મમ્મી હોસ્પિટલ ખાતે ગાયનેક ડો. પ્રફુલ બી. દોષી પાસે સારવાર કરાવવા તેના પતિ સાથે બપોરના સમયે ગઇ હતી. જ્યાં ડો.પ્રફુલ બી. દોષી તેને ચેકઅપ રૂમમાં લઇ ગયો હતો અને ત્યાં એક નર્સે ઇન્જેકશન આપી બહાર જતી રહી હતી. ત્યારબાદ કન્સલ્ટીંગરૂમમાં મહિલા તથા ડો. પ્રફુલ બી. દોષી એકલા જ હતા. તે વખતે ડો. પ્રફુલ બી. દોષી તેને જણાવ્યું હતું કે, જો તું કોઇને કાંઇ કહીશ તો ઇન્જેક્શન આપી મારી નાંખીશ તારો પતિ બહાર બેસી રહેશે તેમ કહી મહિલાને ડરાવી ધમકાવીને જ્યાં બેડ પર સૂતી હતી ત્યાં ડોક્ટરે તેની મરજી વિરૂદ્વમાં શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે ડો. પ્રફુલ બી. દોષી વિરૂદ્વ બળાત્કાર તથા ધાકધમકીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.