(એજન્સી) પટના, તા.૧૪
બિહારની મુઝફ્ફરપુરની કોર્ટમાં આરએસએસના વડા મોહન ભાગવત સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એમની સામે સૈન્યનું અપમાન કરવાના આક્ષેપો મૂકાયા છે. મુઝફ્ફરપુર નિવાસી એમ.રાજુ નયીઆરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કર્યો છે. કોર્ટે ૧પમી ફેબ્રુઆરીએ સુનાવણી રાખી છે. નયીઆરે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, સંઘ વડા મોહન ભાગવતે ફકત લોકોની લાગણીઓ જ દુભાવી નથી પણ એ સાથે ભારતીય સેનાનું અપમાન પણ કર્યું છે. એમણે રવિવારે મુઝફ્ફરપુરમાં જણાવ્યું હતું કે લડાઈ માટે તૈયાર થતાં સૈન્યને ૬ મહિનાનો સમય લાગે છે પણ અમારા સંઘને ફકત ત્રણ દિવસનો સમય જોઈએ. એ ત્રણ દિવસમાં બોર્ડર ઉપર લડી શકે છે. ભાગવતે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ લશ્કરી સંસ્થા નથી પણ અમારી પાસે સૈન્ય જેવું અનુશાસન છે. જો દેશનું બંધારણ અમને પરવાનગી આપે તો અમારો સંઘ દુશ્મન સાથે સીમા ઉપર લડવા તૈયાર છે. સંઘ વડા બિહારમાં ૧૦ દિવસના પ્રવાસે છે.