
(એજન્સી) તા.૨૧
હરિયાણા સરકારે રવિવારે બ્રજ મંડળ જલાભિષેક યાત્રા પહેલાં ગયા વર્ષે હિંસાનો ભોગ બનેલા નૂહ જિલ્લામાં ૨૪ કલાક માટે મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. દરમિયાન નૂહ પોલીસે જણાવ્યું હતું કે, યાત્રાના સુચારૂ સંચાલન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણાના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અનુરાગ રસ્તોગીના આદેશ અનુસાર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા રવિવારે સાંજે ૬ વાગ્યાથી સોમવારે સાંજે ૬ વાગ્યા સુધી સ્થગિત રહેશે. એડિશનલ ડીજીપી-સીઆઈડી, હરિયાણા અને એક ડેપ્યુટી કમિશનરની પ્રતિક્રિયા પર જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘નૂહ જિલ્લામાં તાણ, અશાંતિ, આંદોલન, જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન અને જાહેર શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાની સંભાવના છે.’ વ્હોટ્સએપ, ફેસબૂક, ટિ્વટર વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ‘ખોટી માહિતી અને અફવાઓ ફેલાવવાથી રોકવા માટે’ ઇન્ટરનેટ સસ્પેન્શન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ૩૧ જુલાઈના રોજ હરિયાણાના નૂહ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના સરઘસને રોકવાનો પ્રયાસ કરતી વખતે બે હોમગાડ્ર્સ માર્યા ગયા હતા અને ઘણા પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા ૧૫ અન્ય ઘાયલ થયા હતા.