પાલનપુર, તા.ર૧
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા લાઇઝન ઓફિસર ર્ડા. ગીતાબેન પટેલ કોરોના સામેનો જંગ હારી જતા આજે તેઓનું દુઃખદ નિધન થયું હતું. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ક્લાસ વન તરીકે ફરજ બજાવતા ડો.ગીતા બેન પટેલ ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ ઉપરાંત બીજી ઘણી શારીરિક તકલીફ હોવા છતાં એક સૈનિકની જેમ નિષ્ઠાથી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હતા. જોકે, તેઓ ખુદ કોરોના સંક્રમણ નો ભોગ બનતા તેઓ ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જ્યાં તેઓ કોરોના સામેનો જંગ હારી જતા આજે તેઓનું મોત નિપજતા સિવિલ હોસ્પિટલના સ્ટાફ સહિતના આરોગ્યકર્મીઓ અને તબીબી આલમે ઘેરા શોકની લાગણી અનુભવી છે. તેઓનું આજે મોત નિપજ્યું હોવાનું પાલનપુર સિવિલ સર્જન ડો.ભરત મિસ્ત્રીએ જણાવ્યું હતું. જેઓને અગાઉના કલેકટર સંદીપ સાંગલેએ પણ કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કર્યા હતા.