કેવી રીતે થઈ હતી ફરહાનની હત્યા?
અબુધાબીમાં ભારતીય દૂતાવાસમાં સામુદાયિક બાબતોના કાઉન્સિલર દિનેશ કુમારે જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૧૫માં અલ ઐનમાં દારૂના ગેરકાયદે વેચાણ અંગે થયેલા ઝઘડામાં ફરહાનની હત્યા થઈ હતી. પંજાબના ૧૧ વ્યક્તિઓને આ મામલે દોષિત ઠેરવાયા હતા જોકે, એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું જેથી ૧૦ને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો.
અબુધાબી, તા. ૨૭
એક પાકિસ્તાની વયોવૃદ્ધ વ્યક્તિએ પોતાના પુત્રની હત્યાના આરોપમા મોતની સજા પામેલા ૧૦ ભારતીયોને માફ કરી દીધા છે. આ વ્યક્તિના પુત્રની હત્યા અબુધાબીમાં વર્ષ ૨૦૧૫માં થઈ હતી. પાકિસ્તાની અખબારના અહેવાલ અનુસાર યુએઇની અદાલતે પિતાને વળતર(બ્લડ મની) આપવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આને પીડિત પરિવારને વળતર તરીકે આપવામાં આવે છે. જોકે, કોર્ટમાં હજુ માફી અંગેને નિર્ણય સંભળાવવાનો બાકી છે જે બાદ ૧૦ ભારતીયોને દોષમુક્ત કરી દેવામાં આવશે. યુએઇ ઇસ્લામિક કાયદો અથવા શરિયા કાનુનને અનુસરે છે જે અનુસાર પીડિત પરિવાર દોષિતોની મોતની સજા વિરૂદ્ધ અદાલતમાં અપીલ કરી શકે છે.જેમાં પીડિત પક્ષ બધું ભૂલાવીને દોષિતોને માફ પણ કરી શકે છે. એક વિવાદને પગલે મોહંમદ ફરહાનના નામના વ્યક્તિને ભારતીયોએ મારી નાખ્યો હતો. તેના પિતા રિયાઝે કહ્યંુ હતું કે, હું કમનસીબ હતો કે, મેં મારા પુત્રને ખોયો છે. મેં ૧૦ લોકોને તેની હત્યા કરી હોવા છતાં માફી આપી છે. તેમનું જીવન અલ્લાહે બચાવ્યું છે. રિયાઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧૦ લોકોને જીવનમાં પત્ની, બાળકો અને અન્ય લોકો સામેલ હોય છે અને તેઓ યુએઇ કામ કરવા આવે છે જ્યારે આખું કુટુંબ તેમના પર નિર્ભર હોય છે. હું આજની યુવા પેઢીને અપીલ કરૂ છું કે, કોઇપણ બાબતમાં લડાઇમાં ન ઉતરે. બ્લડ મની એક સેવાભાવી ટ્રસ્ટ ચલાવનારા અને દુબઇના બિઝનેસમેન એસપી સિંહ ઓબેરોય દ્વારા આપવામાં આવશે. બ્લડ મની યુએઇમાં રહેતા પુરૂષોને આપવામાં આવે છે. કોઇપણ ધર્મ કેસ સંપ્રદાયના કોઇપણ દેશના લોકોને આ વળતર મળે છે. આ રકમ બે લાખ દિરહમ જેટલી હોય છે. મહિલાઓ માટે આ રકમ અડધી હોય છે. એસપી સિંહે જણાવ્યું હતું કે, ટ્રસ્ટે રિયાઝને યુએઇ આવવા કહ્યું છે અને તેમના તથા તેમના પરિવાર માટે વીઝા અને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અમે પ્રયાસો દ્વારા તેમને દોષિતોને શરિયા કાનુન અંતર્ગત માફી આપવા માટે મનાવ્યા છે અને બ્લડ મની તરીકે બે લાખ દિરહમ કોર્ટમાં જમા કરાવી દીધા છે.