જામનગર,તા.ર૦
જામનગરના રોઝી પેટ્રોલ પંપ પાસે આજે સવારે બાળકોને શાળાએ મૂકવા જતી વાન પલ્ટી મારી ગઈ હતી. તાત્કાલિક પહોંચેલી ૧૦૮ની ટૂકડીએ બાળકોને સારવાર આપી હોસ્પિટલમાં ખસેડયા હતા.
જામનગરના જનતા ફાટકથી ગોકુલનગર તરફ જવાના માર્ગ પર આવેલા કેન્દ્રીય વિદ્યાલય-એરફોર્સ-રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જઈ રહેલી એક વાન જ્યારે રોઝી પેટ્રોલપંપ પાસે પહોંચી ત્યારે અચાનક પલ્ટી મારી જતાં બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી.
આ વેળાએ જ ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ૧૦૮ને આ બાબતની જાણ કરતા ઈએમટી રસીલાબા અને પાયલોટ બ્રિજરાજસિંહ વાળા એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક બનાવના સ્થળે પહોંચ્યા હતા.
ત્યાં અન્ય લોકોની મદદ મેળવી વાનમાંથી શાળાના બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમાંથી દસેક બાળકોને સામાન્ય ઈજા થઈ હોય તેઓને ૧૦૮ના સ્ટાફે સ્થળ પર જ સારવાર આપી જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા.