જામનગર,તા.ર૦
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત શ્રાવણ મેળા બે સ્થળોએ જ યોજવામાં આવશે. અન્ય બે સ્થળ માટે કોઈ પાર્ટીએ રસ નહીં દાખવતા હવે આ મેળા રદ કરવામાં આવ્યા છે.
રંગમતી નદીના પટનો મેળો આજે પ્રથમ સોમવારે ચાલુ રહેનાર છે. જામનગર મહાપાલિકા દ્વારા આ વર્ષે ચાર સ્થળોએ શ્રાવણી મેળા માટે આયોજન કર્યું હતું, પરંતુ મારૂ કંસારાની વાડી પાસે અને પોલીસ હેડક્વાટર્સ પાછળના સ્થળના મેળા માટે ટેન્ડરો મળ્યા નહતા આથી તંત્રને આ મેળો રદ કરવાની ફરજ પડી છે.
હવે રંગમતી નદીના પટમાં તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એમ બે સ્થળોએ જ મેળા યોજવામાં આવ્યા છે. રંગમતી નદી પટમાં ગઈકાલે રવિવારની રજા હોવાથી મેળાનો પ્રારંભ કરી નાંખવામાં આવ્યો હતો જ્યારે પ્રદર્શન મેદાનમાં આગામી તા. ૧/૯/ર૦૧૮ના શ્રાવણ મેળો શરૂ થઈ રહ્યો છે. મહાનગરપાલિકાને પ્રદર્શન મેદાનની જગ્યાના ભાગ પેટે રૂપિયા એક કરોડથી વધુની આવક થઈ છે જ્યારે રંગમતી નદીના પટની જગ્યાના ભાડા પેટે આશરે ૯ લાખ મળ્યા છે, જો કે રંગમતી નદી પટમાં અન્ય તમામ વ્યવસ્થા કોન્ટ્રાક્ટ રાખનારે કરવાની રહે છે.