ર૦૧૦નો ઉપદ્રવ : ૮ વર્ષ થઇ ગયા પણ અનંતનાગમાં હત્યા કરાયેલા ૩ પીડિત કિશોરના પરિવારોને ન્યાય નથી મળ્યો

(એજન્સી) તા.૩૦
ર૦૧૦માં ઉનાળામાં ફાટી નીકળેલા ઉપદ્રવો દરમિયાન અનંતનાગમાં ત્રણ કિશોરોની હત્યાને પણ લગભગ આઠ વર્ષ વીતી ગયા છે. જોકે તેમના પરિવારોએ હવે ન્યાય મળશે તેવી આશા જ ગુમાવી દીધી છે. નોંધનીય છે કે ર૯ જૂન ર૦૧૦ના રોજ જ્યારે અંચિદોરા ખાતે દેખાવો કરવામાં આવી રહ્યાં હતા ત્યારે પોલીસ સુરક્ષાદળ તેમના પર તૂટી પડ્યા હતા. આ દરમિયાન આ ત્રણે કિશોરો સુજાત-ઉલ-ઇસ્લામ(૧૭), ઇસ્તિયાક અહેમદ ખાંડે(૧પ) અને ઇમ્તિયાઝ અહેમદ ઇતૂ(૧૭)ને પોલીસ સુરક્ષાદળો દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. જોકે આ ઘટના દરમિયાન ત્રણ અન્ય લોકોને પણ ગોળી વાગી હતી. સુજાત ઉલ ઇસ્લામ અંચિદોરાનો વતની હતો અને તેને વાંચન તથા પવિત્ર કુર્આન શરીફના પઠનનો ઘણો શોખ હતો. ૧રમું પાસ કર્યા બાદ તેણે પરિવારને ટેકો આપવાની શરુઆત કરી દીધી હતી. જ્યારે તે માત્ર ત્રણ વર્ષનો હતો ત્યારે તેના પિતા મોહમ્મદ અશરફ બાબા જે એક પ્રસિદ્ધ ઉપદેશક હતા અને તે સ્થાનિક મદ્રેસામાં પઢાવતાં હતા. તેમણે રપ મે ૧૯૯૬ના રોજ ગોળી મારી દીધી હતી. તેમને સરકાર સમર્થિત બંદૂકધારીઓએ ગોળી મારી હતી. જોકે તેના બાદ તમામ જવાબદારી સુજાતના માથે આવી ગઇ હતી. તે એક સ્થાનિક દુકાનમાં સેલ્સમેનની નોકરી કરવા લાગ્યો અને પરિવારને મદદ કરતો હતો. જોકે તમામ મુશ્કેલી છતાં તેણે પોતાના નાના ભાઇને ભણાવ્યો અને બહેનના લગ્ન કરાવ્યા. આ માહિતી તેના પિતરાઇ ભાઇ જાવેદ બાબાએ આપી હતી. તેમણે કહ્યું કે તેના બાદ સુજાતે તેની સંપૂર્ણ એનર્જી તેના નાના ભાઇને ભણાવવા પાછળ ખર્ચી નાખી હતી. જોકે ઇસ્તિયાક અહેમદ ખાંડેની વાત કરીએ તો તે અહેમદુલ્લા ખાંડેનો દીકરો હતો અને તેના માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો. ૧૦માં ધોરણમાં ભણતો હતો અને ટેલેન્ટેડ હતો. તેના પિતા કહે છે કે સોસાયટીના કમ્પાઉન્ડમાં તેને અમારા ઘરની સામે જ મારી નખાયો. તે બ્રેડ લેવા ગયો હતો. તેના પિતા કહે છે કે અમે અનેકવાર ન્યાયની માગ કરી પણ નકારી દેવાઇ. તેની માતા કહે છે કે જ્યારથી મારો દીકરો ગયો છે હું ત્યારથી નિરંતર બીમાર જ રહું છું અને તેમની સારવાર ચાલે છે. જોકે ઇમ્તિયાઝ અહેમદ ઈતૂ વોટરગામનો વતની હતો. તે ઇસ્લામાબાદથી છ કિમી દૂર આવેલ છે. તે પણ તેના પરિવારને મદદ કરતો હતો. તેના પિતા અબ્દુલ અહદ ઈતૂ ખેડૂત હતા. ઇતૂએ અભ્યાસ છોડી દીધો હતો અને પરિવારની મદદમાં લાગી ગયો હતો. તે ચાર ભાઇઓમાં સૌથી નાનો હતો. બે ભાઇઓના લગ્ન થયા તો તે અલગ જઇને રહેવા લાગ્યા. જોકે તેની હત્યા બાદ પણ ઇમ્તિયાઝના પિતા જાણે એકલા જ થઇ ગયા છે. સરકારે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપ્યો. એસઆઈટીની રચના પણ થઇ પણ હજુ સુધી કોઇ પરિવારને ન્યાય મળ્યો નથી. તમામ પરિવારના સભ્યો સરકાર દ્વારા મળતાં સહાયના નાણાં સ્વીકારવાનો કે નોકરી પણ સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks