મહેસાણા, તા. ૨૧
મહેસાણા નજીક વિજાપુર રોડ પર આવેલા શોભાસણ પાટીયા નજીક આજે મીની એસટી બસ, ટ્રક અને કાર ગાડી વચ્ચે સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં બે વ્યકિતઓના કરુણ મોત થયા હતા.જયારે એસટીના ચાલક સહિત ૮ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી.
આ અકસ્માત અંગે જાણવા મળેલી વિગત અનુસાર મહેસાણા-વિજાપુર રોડ ઉપર આવેલા રૂપાલ અને શોભાસણ વચ્ચે આજે વિજાપુર ડેપોની મહેસાણા-હિંમતનગર રૂટનીવ મીની બસ, ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. અને કારચાલક ભાન્ડુના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. સર્જાયેલા અકસ્માતમાં એસટીના ચાલક જયેશભાઈ પટેલ, શૈલેષ નારણભાઈ દેસાઈ, રીટાબેન ભદ્રેશભાઈ મોદી, પ્રવિણાનબેન જશુભાઈ શુકલ, કટારા કિશોર સવજીભાઈ, જુહાજી કાનાજી ઠાકોર સહિત આઠ વ્યકિતઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલ યુવતીનું પણ મોત નીપજ્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મીની બસમાં બેઠેલા મુસાફરોની ચીચીયારીઓ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી.