(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સરથાણા વિસ્તારની યુવતિ સાથે બળાત્કાર ગુજારવાના મામલે સંકળાયેલા પ્રદેશ ભાજપાના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીના બળાત્કાર પ્રકરણમાં આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં એક ક્વોશિંગ પીટિશન દાખલ કરતા જસ્ટિસ પી.પી. ભટ્ટે આ ગુનાની તપાસ કરનાર અધિકારી એચસીપી સરવૈયાને નોટિસ કાઢી બોલાવ્યા હતા. આ કેસની વિગતો એવી છે કે, સરથાણા વિસ્તારની માતૃછાયા સોસાયટીમાં રહેતી અને ૨૧ વર્ષની યુવતી સાથે પ્રદેશ ભાજપના માજી ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી દ્વારા ૨૦૧૭ અને માર્ચ-૨૦૧૮માં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જો કે, ભાનુશાળીએ યુવતિને ફેશન ડિઝાઈનિંગ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને અમદાવાદ બોલાવવામાં આવી હતી. સરથાણા પોલીસ મથકમાં જયંતી સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરાયા બાદ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં સીઆરપીસી – ૪૮૨ મુજબ એક ક્વોશિંગ પીટિશન (ફરિયાદ રદ કરવા) દાખલ કરી હતી. આ પીટિશનમાં પીડિતાને પણ પક્ષકાર બનાવાઈ છે. પરંતુ હજુ સુધી તેમને નોટિસ કાઢવામાં આવી ન હતી અને તેમને નોટિસ મળી પણ ન હતી. એવું પીડિતાના વકીલે જણાવ્યું હતું.