(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
ગુજરાત સરકારે તબીબી શિક્ષણમાં સ્નાતક કક્ષાએ પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં તબીબી શિક્ષણ સ્નાતક કક્ષાની ૧૦ હજારથી વધુ બેઠકો માટે આગામી સમયમાં પ્રવેશની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ સરકારે નિયમોમાં ફેરફાર કરતા હવેથી મૂળ ગુજરાતના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓને જ પ્રવેશ માટે લાયક ગણવાનું ઠરાવાયું છે. આ માટે પ્રવેશ સમયે વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારી દ્વારા અધિનિવાસ પ્રમાણપત્ર (ડોમીસાઈલ સર્ટિફિકેટ) રજૂ કરવાનું રહેશે તેમ પણ વધુમાં જણાવાયું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં સ્નાતક કક્ષાની મેડીકલની ૪૦૦૦ ડેન્ટલની ૧૧૫૫, આયુર્વેદની ૧૮૨૦, હોમિયોપેથીની ૩૨૫૦ અને નેચરોપેથીની ૬૦ મળી કુલ ૧૦,૦૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો ઉપર પ્રવેશ માટે રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને વધુ લાભ મળે તે માટે મૂળ ગુજરાતના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓને જ વર્ષ-૨૦૧૮થી પ્રવેશ માટે લાયક ગણવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સ્નાતક કક્ષાએ તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્નાતક, મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીયોપેથી અને નેચરોપેથીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના નિયમોમાં આ સુધારાઓ કરવાથી રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. ઓવરસીઝ સીટીઝન ઓફ ઈન્ડિયાનું કાર્ડ ધરાવતાં અને મૂળ ગુજરાતના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓ એનઆરઆઈ બેઠકો ઉપરાંત હવેથી સરકારી બેઠકો પર પ્રવેશ માટે પણ લાયક ગણાશે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત બોર્ડ, સેન્ટર બોર્ડ, કાઉન્સીલ ઓફ ઈન્ડીયન સ્કૂલ સર્ટીફીકેટ, એકઝામીનેશન બોર્ડ ઉપરાંત ઈન્ટરનેશનલ સ્કૂલ બોર્ડ તેમજ નેશનલ ઈન્સ્ટીટ્યુટર ઓફ ઓપન સ્કૂલીંગની સાથે સંલગ્ન હોય તેવી ગુજરાતમાં આવેલી શાળાઓમાંથી ધોરણ-૧૨ પાસ કરેલ વિદ્યાર્થીઓને પણ જો તેઓ નીટ પાસ કરે તો તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પાત્ર ગણાશે. મૂળ ગુજરાતના અધિનિવાસી હોય અને રાજ્ય બહાર સેવાઓ આપી રહ્યા હોય તેવા સંરક્ષણના તમામ દળોના કર્મચારીઓ અધિકારીઓના બાળકો પણ પ્રવેશ માટે પાત્ર ગણાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષમાં પ્રવેશ સમિતિ દ્વારા કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય અને ફરીથી નીટની પરીક્ષા પાસ કર્યા બાદ અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓએ હાલમાં જે અભ્યાસક્રમ ચાલુ હોય તે અભ્યાસક્રમની તમામ વર્ષોની ફી ભરીને સંબંધિત સંસ્થા પાસેથી ના વાંઘા પ્રમાણપત્ર અને અસલ પ્રમાણપત્રો રજૂ કર્યે પ્રવેશ સમિતિ દ્વારા ફરીથી નવો પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે.