નવી દિલ્હી, તા. ૨૧
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના ભૂતપૂર્વ રાજકીય સલાહકાર અહમદ પટેલને ૨૧મી ઓગસ્ટે તેમના જન્મદિવસની ભેટ મળી છે. અહમદ પટેલને કોંગ્રેસ પક્ષના ખજાનચી બનાવવામાં આવ્યા છે. અહમદ પટેલને પક્ષના ખજાન્ચી બનાવવાની બાબત ગાંધી પરિવારનો તેમનામાં રહેલો જબરદસ્ત વિશ્વાસ બતાવે છે. ૧૭ વર્ષ સુધી કોંગ્રેસના ખજાન્ચીપદ સંભાળનાર અને ગાંધી પરિવારના વફાદાર મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મોતીલાલ વોરાને હટાવીને અહમદ પટેલને ખજાન્ચી બનાવવાની બાબત ગાંધી પરિવારનો તેમના પરનો ભરોસો પૂરવાર કરે છે. સોનિયા ગાંધી અને સીતારામ કેસરી વચ્ચે સત્તાની ખેંચતાણને પગલે કોંગ્રેસનું ખજાન્ચીપદ સંવેદનશીલ બન્યું હતું. પીવી નરસિંહ રાવે રાજીનામું આપ્યા બાદ ૧૯૯૬માં સીતારામ કેસરી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ૧૯૯૮માં સોનિયા ગાંધીને પક્ષ પ્રમુખ બનતા અટકાવવાનો કેસરીએ પ્રયાસો કર્યા હતા. ગાંધી પરિવારના વફાદારોએ સોનિયા ગાંધીને પક્ષ પ્રમુખ બનાવવા માટે કેસરીને આ હોદ્દાએથી હટાવવા પડ્યા હતા અને સોનિયા ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં અહમદ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપવાનું જણાવતો સોનિયા ગાંધીનો સંદેશ લઇને સૌથી પહેલા અહમદ પટેલ અને ગુલામનબી આઝાદ કેસરી પાસે ગયા હતા. આ કામગીરી બદલ સંદેશવાહક (મેસેન્જર) અહમદ પટેલને હોદ્દા સાથે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના ખજાનચી પાસે પરિવાર અને પક્ષના ટોચના નેતાઓના ઘણા સિક્રેટ હોય છે.