(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૭
સરદાર પટેલને લઈને ભાજપના વારંવારના દાવાઓ વચ્ચે તેના જુઠ્ઠાણાની પોલ અગ્રણી રાજકીય નેતા શંકરસિંહ વાઘેલાએ ખોલી નાંખી છે. અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલનું નામકરણ ભાજપ શાસનમાં થયું હોવાના દાવાનો શંકરસિંહ બાપુએ તે સમયની નામકરણ વિધિની તસવીરોના પુરાવા સાથે રજૂ કરી છેદ ઉડાડી દીધો છે. આ તસવીરો સાથે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા બાપુએ જણાવ્યું હતું કે, એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ ભાજપ શાસનમાં થયું તે મોદી સરકારનું ટાઢા પહોરનું ગપ્પું હતું. અમદાવાદ એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ ૭-૧૨-૧૯૯૮ના રોજ થયું હતું. ભાજપને ઈશારે એરપોર્ટ ઓથોરીટીએ એ નામકરણની તકતી અને અવશેષ મિટાવી દેવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ એરપોર્ટ ના નામ સાથે લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબનું નામકરણ ભાજપની સરકારમાં થયું હતું. વાઘેલાએ ૭-૧૨-૧૯૯૮ ના રોજની એક તસ્વીર જાહેર કરીને કહ્યું કે સરદાર વલ્લભ પટેલ ઈન્ટર નેસનલ એરપોર્ટ ના નામકરણ નું સુચન તેઓ જ્યારે સીએમ હતા ત્યારે કર્યું હતું. ગુજરાતના સીએમ તરીકે તેમણે તે વખતે વડાપ્રધાન એચ.ડી. દેવગોવડા ને વિનંતી કરતા તેઓ ૭ ડીસે.૧૯૯૮ ના રોજ ગુજરાત પધાર્યા હતા અને તકતી નું નામકરણ કર્યું હતું. તેનો સજ્જડ પુરાવો આ ફોટો છે. વાઘેલાએ જણાવ્યુંકે તેઓ આ ખુલાસો એટલા માટે કરી રહ્યા છે કે કેમ કે ભાજપ દ્વારા સંકુચિત માનસિકતાને કારણે ઈતિહાસ ની સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ભાજપે જુઠ્ઠાણું ચલાવ્યું છે કે કેશુભાઈ પટેલ સીએમ અને અટલજી વડાપ્રધાન હતા ત્યારે એરપોર્ટ નું નામકરણ સરદારના નામે થયું હતું. પરંતુ આ ફોટો એ વાત નો સજ્જડ પુરાવો છે કે ભાજપનો દાવો સાવ ખોટો અને પોકળ છે. તેમણે એમ પણ કહ્યું કે આ સરકારે રાજ્યસભામાં પણ આ વિષય ની ખોટી માહિતી મૂકી છે. એરપોર્ટ પર આ તકતી ક્યા છે અને તેને સાચવવાની જવાબદારી એરપોર્ટ ઓથોરીટી ની છે.
4.5