(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે સાંજે અચાનક પૂૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને મળવા દિલ્હીની એઈમ્સમાં પહોંચ્યા ત્યારે થોડીવારમાં ભાજપમાં નાસભાગ મચી ગઈ. થોડીવારમાં જ એક પછી એક પાર્ટીના નેતા એઈમ્સમાં રવાના થયા હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા બાદ રાત્રે વડાપ્રધાન મોદી પણ એઈમ્સમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધી બપોરે હોસ્પિટલમાં જઈ અટલ બિહારી વાજપેયીને મળી આવ્યા હતા. બીજી તરફ મોદી જ્યારે તેમને મળવા ગયા ત્યારે અમિત શાહ સહિતના કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ અહીં હાજર હતા. ૯૩ વર્ષના વાજપેયી ઘણા વર્ષથી બીમાર છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સોમવારે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ૯૩ વર્ષીય વાજપેયીને અહીં નિયમિત ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે. વાજપેયીજી લાંબા સમયથી બીમાર છે. એઇમ્સે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, અટલ બિહારી વાજપેયીની તબિયત સ્થિર છે અને એઇમ્સના નિદેશક ડો. રણદીપ ગુલેરિયાની આગેવાનીવાળી ડોક્ટર્સની ટીમ તેમની દેખભાળ કરી રહી છે.
અટલ બિહારી વાજપેયી ઘણા લાંબા સમયથી અસ્વસ્થ છે, તેઓ પોતાના નિવાસસ્થાન પર જ ડોક્ટર્સની દેખરેખમાં છે. સોમવારે ડોક્ટર્સની સલાહ પર જ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજેપી તરફથી નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે નિયમિત ચેકઅપ માટે તેઓ અહીં આવ્યા છે. તેમને એઇમ્સના નિદેશક ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડો. ગુલેરિયા દેશના પહેલા ડોક્ટર છે, જેમને પલ્મનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં ડીએમની ડિગ્રી મેળવી હતી. વર્ષ ૧૯૯૨માં તેઓ એઇમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા. પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો ઈલાજ પણ તેમની જ દેખરેખમાં થયો હતો.