(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
સેનાએ ગુરૂવારે જનરલ બિપિન રાવતના નિવેદનનો બચાવ કરતા જણાવ્યું હતું કે, મુસ્લિમોના સમર્થનને કારણે ઉત્તરપૂર્વમાં રાજકીય પાર્ટીઓ ઝડપથી ઉભરી રહી છે તેવું નિવેદન રાજકીય કે ધાર્મિક નથી. આ પ્રતિક્રિયા ત્યારે અપાઇ જ્યારે એઆઇયુડીએફના પ્રમુખ બદરુદ્દીન અજમલે આરોપ લગાવ્યો હતો કે, સેના પ્રમુખનું રાજકારણમાં જંપલાવવું બંધારણ વિરૂદ્ધ છે. અજમલે જણાવ્યું હતું કે, જનરલ બિપિન રાવતે આશ્ચર્ચજનક નિવેદન આપ્યું છે. રાજકીય પાર્ટીઓ બાબતે તેઓ શા માટે ચિંતિત થાય છે જે લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ છે અને આવી પાર્ટી ભાજપ કરતા વધુ ઉભરી રહી છે ? અમારી અને આપ જેવી પાર્ટીઓ મોટા પક્ષોની ગેરવહીવટને કારણે પ્રકાશમાં આવે છે. મૌલાના અજમલે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદને ટિ્વટ કરી જનરલના નિવેદનની નોંધ લેવા અપીલ કરી હતી. સેનાએ જણાવ્યું કે, અહીં કોઇ રાજકીય કે ધાર્મિક વાત નથી કરાઇ. સેના પ્રમુખ ઉત્તરપૂર્વના રાજ્યમાં ડીઆરડીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ઘુષણખોરી અને વિકાસ માટે બોલી રહ્યા હતા. ત્યારે અજમલે જવાબ આપ્યો હતો કે જો સેના પ્રમુખની ટિપ્પણી રાજકીય નથી તો તેમણે પોતાના નિવેદનમાં પાર્ટીનું નામ કેમ લીધું જે પાર્ટી ભારતીય નાગરિકો દ્વારા ચૂંટાઇને પોતાના પ્રતિનિધિઓ સાથે આવી છે.