(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
સુરત જિલ્લાના પલસાણા હાઇવે પર રાધિકા હોટલની બાજુમાં આવેલા સચીન ઉદ્યોગ વિકાસ સરકારી લી. મંડળીની ખુલ્લી જગ્યામાં અવાવરૂ ગોડાઉન આવેલું છે. જેની ઓસરીમાં ઓટલા પર ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા ઇસમની કોહવાયેલી લાશ ગત રાત્રે મળી આવી હતી. જેથી સ્થાનિક લોકોએ સચીન પોલીસને જાણ કરતા સચીન પોલીસે સ્થળ તપાસ કરી અજાણ્યા ઇસમની લાશનો કબ્જો લઇ લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. લાશ ચારથી પાંચ દિવસ કરતા પણ વધુ સમયથી હોવાના કારણે કોહવાઇ ગઇ હતી. જેથી તેની હત્યા થઇ છે કે, કેમ તે અંગે પણ સવાલો ઉઠવા પામ્યા હતા. જો કે, પોસ્ટમોર્ટમ બાદ સામે આવ્યું હતું કે, અજાણ્યા ઇસમો દ્વારા કોઇક સાધન વડે અથવા બોથડ પ્રદાર્થ વડે છાતીના ભાગે ઘા મારી તેની ઘા મારી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જો કે, આ હત્યા કોણે અને શા માટે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો સચીન પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા છે.