(એજન્સી) વોશિંગ્ટન, તા.૩૦
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ દેશના પત્રકારોને ‘દેશદ્રોહી’ ગણાવતા તેમના પર પોતાના સમાચારોથી લોકોનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ મૂક્યો હતો.
ટ્રમ્પએ ટ્વીટ કરી કહ્યું કે, જ્યારે ટ્રમ્પ વિરોધી બીમારીથી ગ્રસ્ત મીડિયા સરકારની આંતરિક વાતચીતને જાહેર કરે છે ત્યારે તેઓ માત્ર પત્રકારોના નહીં પરંતુ અન્ય ઘણા લોકોના જીવ જોખમમાં મૂકે છે. તેમણે નોંધ્યું કે, પત્રકારત્વની સ્વતંત્રતા સમાચારના જવાબદારીપૂર્વકના પ્રસારણ સાથે આવે છે. આ ઘણું દેશવિરોધી છે. તેમણે કહ્યું કે, એ મુદ્દે કોઈ શંકા નથી કે મીડિયા પર લોકોનો વિશ્વાસ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે. નોંધનીય છે કે, ટૂંક સમય પહેલા ટ્રમ્પએ ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રકાશક એ.જી.સ્લજબર્જર સાથે મુલાકાત બાદ ટ્વીટ કરી હતી કે આ મુલાકાત ઘણી જ રસપ્રદ અને સારી હતી. બીજી તરફ ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રકાશકે કહ્યું કે, મુલાકાતનો ઉદ્દેશ્ય માત્ર ટ્રમ્પને એ જણાવવાનો હતો કે પત્રકારત્વ પર તેના વધતા હુમલા દેશ માટે જોખમી અને નુકસાનકારક છે અને તેનાથી હિંસા વધશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિની ભાષા ન માત્ર વિભાજનકારી છે પરંતુ સાથે ખતરનાક પણ છે.