મહિલાઓના ફિગરને લઈ આનંદીબેને વિવાદાસ્પદ નિવેદન આપતાં ચર્ચામાં

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૧
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ છેલ્લા બે દિવસથી તેમના ચર્ચાસ્પદ નિવેદનને લઈ વિવાદનું કેન્દ્ર બન્યા છે. ગતરોજ વડાપ્રધાન મોદી અંગે નિવેદન કર્યા બાદ આજે તેમણે મહિલાઓ અંગે નિવેદન આપતાં ચર્ચામાં રહેવા પામ્યા છે. આનંદીબેન પટેલે મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમમાં શહેરની મહિલાઓના ફિગરને લઈ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જે સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં વાયરલ થયેલ છે.
આનંદીબેન પટેલે કહ્યું હતુંં કે, આજકાલ શહેરની મહિલાઓ પોતાનું ફિગર ખરાબ થઈ જશે તે ડરથી બાળકોને દૂધ પીવડાવતી નથી. તે બાળકોને બોટલ આપી દે છે અને પછી જેવી રીતે બોટલ તૂટી જાય છે તેવી રીતે નસીબ પણ ફૂટી જાય છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે ઈન્દોરના કાશીપુરીના આંગણવાડી કેન્દ્રમાં મહિલાઓને કહી હતી. તે અહીં એકીકૃત બાળ વિકાસ પરિયોજનાના કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, બોટલનું દૂધ બાળકોને ન પીવડાવવું જોઈએ. તેનાથી ફિગરને કોઈ લેવા-દેવા નથી. મહિલાઓને સલાહ આપતા તેમણે કહ્યું હતું કે, પ્રસુતિ સહાયતાના પૈસા મળે છે, તેને સંભાળીને ખર્ચ કરવા જોઈએ. તે પૈસાથી ગર્ભાવસ્થામાં ફળ ખરીદીને ખાઓ જેથી તમારું બાળક સ્વસ્થ રહે. આનંદીબેન પટેલે અધિકારીઓ પાસે આંગણવાડીનો રિપોર્ટ કાર્ડ પણ માંગ્યો છે. તેમણે આ કાર્યક્રમમાં કુપોષણથી પીડિત બાળકો અંગે વાત કરી હતી. આ પહેલા પણ આનંદીબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગ્ન ન કર્યા હોવાની વાતને લીધે ચર્ચામાં આવ્યા હતા. જેમાં જશોદાબેને આકરો જવાબ પણ આપ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks