અંકલેશ્વર,તા.ર
ઝઘડિયા તાલુકાની આંગણવાડી બહેનોને ત્રણ માસથી પગાર થયો નથી અને જિલ્લા ઉપરથી તાલુકાની બહેનોને કામગીરી કરવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે તાલુકાની આંગણવાડી બહેનોએ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી તેનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.
ઝઘડિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી તેમના ત્રણ માસથી નહીં થયેલ પગાર બાબતે તથા આંગણવાડી બહેનોને દબાણ કરી કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. આવેદનપત્રમાં વધુ જણાવ્યું છે કે ત્રણ માસથી પગાર નહીં થવાના કારણે બહેનોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. તથા બેંકોના ખાતા ખોલવા દબાણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં બહેનોને જે લાભાર્થીને મળવાપાત્ર રકમ મળી જતા ઈન્સેન્ટીવ ર૦૦ રૂપિયા અને હેલ્પર બેનો ૧૦૦ રૂપિયા ચુકવવાનાં તે પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા છે અને ચાર ગણુ કામ કરવામાં આવે છે. જિલ્લા ઉપરથી આંગણવાડી બહેનોને દબાણ કરવામાં આવે છે કે દર મહિને નવી સગર્ભા ફરજિયાત નોંધાવી જોઈએ ક્યાંથી લાવે આ બહેનો સગર્ભા ? તેમ જણાવ્યું હતું. આધારકાર્ડની માહિતીઓ આપીને પણ બહેનો કંટાળી ગયા છે. આધારકાર્ડવાળા ૦થી ૬ વર્ષના બાળકોની માહિતી મોકલાવ્યા બાદ પણ બાળકોની યાદીમાં આધારકાર્ડ બનાવવામાં આવતા નથી. આ બધી સમસ્યાનું સમયસર નિરાકરણ નહીં લાવવામાં આવે તો આંગણવાડી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.