શહેરમાં છેલ્લા ચાર માસમાં થયેલાં મોતનો આંક સરેરાશ મૃત્યુ કરતા બમણો
અમદાવાદ, તા.ર૮
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ મળેલી ઓનલાઈન સામાન્યસભામાં જમાલપુરના મ્યુનિસિપલ કાઉન્સિલરે કરેલા ચોંકાવનારા ઘટસ્ફોટથી શાસક પક્ષ અને વહીવટીતંત્રના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેમના જણાવ્યા મુજબ મ્યુનિ. દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ચાર મહિનામાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા ૧પ૮૦ છે. પરંતુ સ્મશાન અને કબ્રસ્તાનોમાંથી મળતી માહિતી મુજબ ર૪ માર્ચથી આજદિન સુધી ર૦ હજાર જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. જે સરેરાશ મૃત્યુ કરતા બમણા છે.
કોવિડ-૧૯ની મહામારીમાં મૃત્યુ પામેલા મ્યુનિસિપલ કાઉન્સિલરો બદરૂદ્દીન શેખ અને ગયાપ્રસાદને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ રજૂઆત કરતા જમાલપુરના મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શેખએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની સેવા દરમિયાન મૃત્યુ પામનાર ડોક્ટરો અને અધિકારીઓના પરિવારજનોને મ્યુનિ. દ્વારા વળતર આપવામાં આવે છે તે જ રીતે મ્યુનિસિપલ કાઉન્સિલરોના પરિવારજનોને પણ રૂા.રપ લાખ વળતર આપવામાં આવે. ઉપરાંત સામાન્ય વ્યક્તિ મૃત્યુ પામે અને તેના પરિવારમાં કોઈ કમાનાર કે આવકનું સાધન ન હોય તેવા પરિવારજનોને રૂા.પ લાખ સહાય કરવામાં આવે. સ્કૂલ બોર્ડના પૂર્વ સભ્ય હબીબી મેવનું પણ કોરોનામાં મૃત્યુ થયું હોવાથી તેમના ઘરમાં બીજો કોઈ કમાનાર વ્યક્તિ ન હોવાથી તેમની બહેને કોર્ટમાં વળતર મેળવવા અરજી કરેલ છે. આથી માનવતાના ધોરણે તેમને પણ સહાય કરવામાં આવે.
મેયરને રજૂઆત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે, કોરનાની મહામારી તંત્રની લાપરવાહી અને નિષ્ફળતા સાબિત કરે છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન તમામ વિદેશી યાત્રીઓનું સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગ કર્યું હોત તો અમદાવાદને કોરોનાનું હોટસ્પોટ બનતા અટકાવી શકાયું હોત.
આ ઉપરાંત તેમણે સીસીટીવી કેમેરાના બાકી કામો પૂર્ણ કરવા, છેલ્લા પાંચ વર્ષમાં બાકી રહેલ ઓડિટ વિભાગના ૧પ હજારથી વધુ વાંધાઓને તાકીદે નિકાલ કરવા, નાગરિકો દ્વારા કરવામાં આવતી સીસીઆરએસની ઓફલાઈન ફરિયાદો પુનઃ શરૂ કરવા, શહેરમાં પ્રિ-મોન્સૂન પ્લાન નિષ્ફળ જતા ઠેર-ઠેર પાણી ભરાઈ જતા હોવાથી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા, મચ્છરોનો ઉપદ્રવ વધતા ફોગિંગ કરવા, વી.એસ. હોસ્પિટલ પુનઃ ચાલુ કરવા સહિતના અનેક પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી.
અંતમાં તેમણે અસારવા ખાતે રપમીની રાત્રે એક રીક્ષા ખાડામાં પડતા રાજકિશોર વર્મા નામના શખ્સનું મોત નિપજ્યું હતું. આ અંગે ઈજનેર ખાતાના અધિકારીઓ અને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થતા તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ફોજદારી ગુનો નોંધી શકાય તેમજ મૃત્યુ પામેલ શખ્સના પરિવારજનોને ખાતા દ્વારા વળતર આપવામાં આવે તેવી માગણી કરી હતી.