(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩૦
કોરોના વાયરસના સંક્રમણે દિન-પ્રતિદિન વધીને સમગ્ર રાજ્યને ભરડામાં લઈ લીધો છે. લોકડાઉન બાદ અનલોકની છૂટછાટ દરમિયાન કોરોના વાયરસ મોટા પ્રમાણમાં વકરતાં રોજના કેસોનો આંક ઝડપથી ઉછાળા મારતો હવે ૧૧૦૦ને પણ પાર થઈ જવા પામ્યો છે. જેમાં કોરોનાના કેસો રોજે-રોજ નવા વિક્રમ સર્જી રહ્યાં હોય તે રીતે વધુને વધુ બહાર આવી રહ્યાં છે. રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ નવા ૧૧૫૯ કોરોનાના વિક્રમજનક કેસ બહાર આવ્યા છે. અત્યાર સુધીની જેમજ આજે પણ સુરતમાં જ સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. તો અન્ય પાંચ-છ જિલ્લામાં પણ કેસો વધુ બહાર આવી રહ્યાં છે. રાજ્યમાં કોરોનામાં મૃત્યુના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ૨૪ કલાકમાં વધુ ૨૨ વ્યક્તિઓના મૃત્યુ થવા પામેલ છે. જ્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનું પ્રમાણ પણ વધુ જારી રહેતા આજે ૮૭૯ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થવામાં સફળ રહ્યાં છે. જેને પગલે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર ૭૩.૧૧ ટકા થવા પામ્યો છે. ભારતમાં કોરોનાના કેસ આજે ૧૬ લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ ૬૦ હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૧૫૯ કેસ નોંધાતા કુલ આંકડો ૬૦,૨૮૫ પર પહોંચ્યો છે. જ્યારે ૮૭૯ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ ૪૪,૦૭૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, રાજ્યમાં ચાર-પાંચ દિવસથી સતત ૧૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો ૬૦ હજારને પાર થઈ ચૂક્યો છે જે ચિંતાજનક આંકડો છે. રાજ્યમાં કોરોનાએ છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ દર્દીઓનો ભોગ લીધો છે જેને લઈને અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૪૧૮ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૫૯૫ દર્દીઓનાં મોત થયા છે. અમદાવાદ-સુરત સિવાય વડોદરા, ગાંધીનગર અને પાટણમાં બે-બે વ્યક્તિના તથા કચ્છ જિલ્લામાં ૧ વ્યક્તિનું મૃત્યુ નિપજેલ છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઈ રહ્યા છે. આજે સુરતમાં ૨૭૧ નવા કોરોનાના કેસ નોંધાયા છે જેમાં સુરત કોર્પોરેશનમાં ૨૧૭ અને સુરત જિલ્લામાં ૫૪ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો ૧૨,૭૮૫ પર પહોંચ્યો છે. સુરતમાં આજે ૨૨૦ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે સુરતમાં ૧૦ દર્દીઓનાં મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ ૪૦૩ દર્દીનાં મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૫૭ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૪૩ અને જિલ્લામાં ૧૪ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો ૨૬,૩૪૧ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૧૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં આજે ૫ દર્દીઓનાં મોત થયા છે જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક ૧૫૯૫ પર પહોંચ્યો છે. રાજ્યભરમાં ૨૪ કલાકમાં સુરત અને અમદાવાદમાં જ ૪૨૮ જેટલા કેસો નોંધાયા છે. તે બાદ વડોદરા શહેરમાં ૭૮ અને ગ્રામ્યમાં ૧૮ મળી કુલ ૯૬ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ શહેરમાં ૫૪ અને ગ્રામ્યમાં ૩૩ મળી ઉછાળારૂપ કુલ ૮૭ કેસ નોંધાયા છે. એ જ રીતે ભાવનગર જિલ્લામાં ૪૬ કેસ, જામનગરમાં ૪૦, ગાંધીનગરમાં ૩૭, ભરૂચમાં ૩૫, જૂનાગઢ-સુરેન્દ્રનગરમાં ૩૪-૩૪ કેસ, દાહોદ ૩૧, બનાસકાંઠા ૨૮, અમરેલી ૨૪, પંચમહાલ ૨૩, પાટણ-વલસાડ ૨૨-૨૨ કેસ, મહેસાણા ૧૮ કેસ તથા રાજ્યના અન્ય જિલ્લામાં ૧થી ૧૬ કેસ નોંધાવવા પામેલ છે. આ કેસોને પગલે કોરોનાનો આંક ખૂબ ઝડપથી વધી રહેલ છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં વધારો જારી રહેતા ૨૪ કલાકમાં વધુ ૮૭૯ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થઈને ઘરે ગયેલ છે. આ સાથે રાજ્યભરમોં અત્યાર સુધીમાં કોરોનામાંથી સાજા થવાનો આંક ૪૪ હજારને પાર થઈ જવા પામ્યો છે.