અમદાવાદ, તા.ર
કોરોના મહામારીના પગલે રાજ્ય વ્યાપી લોકડાઉનના કારણે લાખો લોકો આર્થિક સંકટમાં મુકાઈ ગયા હતા. પરિણામે તેઓને દેવું કરવાની અથવા તો બચત કરેલી મૂડી વાપરવાની ફરજ પડી હતી. આ જ કારણસર ગુજરાતમાં પણ ધંધા રોજગાર નોકરી પર ગંભીર અસર પડતા જીવનધોરણ ટકાવી રાખવા ૮ લાખ કર્મચારીઓ કે કામદારોએ પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાં ઉપાડવાની ફરજ પડી હતી. એક વૈશ્વિક મહામારી કોરોનાને પગલે થયેલ લોકડાઉન અને આર્થિક અણઘડ નીતિઓને પરિણામે સમગ્ર દેશમાં ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને નાગરિકો ઘણા સમયથી કરેલી પ્રોવિડન્ટ ફંડની બચતમાંથી દેશમાં ૮૦ લાખ અને ગુજરાતનાં ૮ લાખ નાગરિકો નાણાં ઉપાડી મંદીનાં સમયમાં વાપરવા મજબૂર બન્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે નોટબંધી અને જીએસટીની મારને પગલે અર્થતંત્ર પર પડેલી ફટકાર બાદ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દેશના કરોડો નાગરિકો સામે આર્થિક સંકટની વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી છે. સીએમઆઈએનાં એક અહેવાલ અનુસાર દેશમાં દર ચોથા વ્યક્તિમાંથી એક વ્યક્તિ રોજગાર ગુમાવે છે. દેશ અને ગુજરાતમાં પણ મોટાભાગની કંપનીઓએ ૨૦થી લઇ ૫૦ ટકા સુધીનો પગારકાપ મુક્યો છે. જેને કારણે નાગરિકો જીવન જીવવામાં મોટા પાયે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નાગરિકો પોતાના પરના અસહ્ય આર્થિક દબાણને પગલે પ્રોવિડન્ટ ફંડની બચતમાંથી પૈસા ઉપાડવા મજબૂર બન્યા હતા. છેલ્લા અઠવાડિયામાં ૧ લાખથી વધુ નાગરિકોએ તેમના નિવૃત્તિ બચત ભંડોળમાંથી નાણાં ઉપાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
લોકડાઉનનાં સમયમાં પણ ૮૦ લાખથી વધુ નાગરિકોના દાવાની પતાવટ એમ્પ્લ્યોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન કરી હતી. એમ્પ્લોયીઈઝ પ્રોવિડન્ટ ફંડ (ઈઁહ્લ)માંથી પૈસા પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૩૦ જૂન ૨૦૨૦ હતી. આ ગાળા દરમિયાન ગુજરાતમાંથી ૮ લાખ નાગરિકોએ પોતાનું પીએફ ફંડ ઉપાડી લીધું. બેરોજગારી અને મોંઘવારીને કારણે આર્થિક સંકટ હજુ વધુ ગંભીર બનશે પરિણામે ગુજરાતમાંથી ૨૦ લાખ લોકોએ પોતાની પીએફની રકમ ઉપાડી લેવી પડે તેવી સ્થિતિ હવે પછીના મહિનાઓમાં આવી શકે છે.
એમ્પ્લ્યોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનનાં આંકડા દર્શાવે છે લોકડાઉન દરમિયાન મેડિકલ ટ્રીટમેન્ટ અને કોરોના વિન્ડો અંતર્ગત છેલ્લા ૩ મહિનામાં મોટી સંખ્યામાં નાગરિકોએ પોતાના પૈસા ઉપાડવા માટે અરજી કરી હતી. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ૧ લાખથી વધુ નાગરિકોએ પૈસા ઉપાડી લીધા છે. ૧ એપ્રિલથી અત્યાર સુધી ૮૦ લાખથી વધુ નાગરિકોએ પોતાના પૈસા પાછા લઇ લીધા છે. ૮૦ લાખ નાગરિકોનાં દાવાની પતાવટમાં એમ્પ્લ્યોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને ૩૦ હજાર કરોડ રૂપિયા સમાધાન પેટે ચુકવવામાં આવ્યા છે. ૯ જુનથી ૨૯ જુન વચ્ચે ૨૦ લાખ નાગરિકોએ બચતનાં નાણાં પાછા ખેંચી લીધા છે. આ આંકડો આઘાતજનક છે. ભાજપ સરકારે કરેલા અનલોક પછી પણ નોકરી ધંધા રોજગાર યોગ્ય રીતે ચાલુ થઇ શકયા નથી જેથી પોતાની મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા લોકો આર્થિક સંકડામણમાં છે.
એમ્પ્લ્યોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને ૭૫ ટકા સુધીનું ભંડોળ ખાતામાંથી પાછું ખેંચવાની મંજૂરી આપી હતી. પૈસા ઉપાડનાર ૨૪ ટકા નાગરિકોમાં ૧૫થી ૫૦ હજારની માસિક આવક ધરાવતા હતા. ૫૦ હજારથી વધુ પગાર ધરાવતો વર્ગ માત્ર ૨.૦ ટકા હતો.