Site icon Gujarat Today

રાજ્યભરમાં ચકચાર જગાવનાર દુર્ઘટનાને લઈ સરકાર એકશનમાં ! હોસ્પિટલમાં આગની ગોઝારી ઘટના  અંગે મુખ્યમંત્રીના તપાસના આદેશો

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૬

અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં આઠ-આઠ દર્દીઓના મૃત્યુ થતા રાજયભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામેલ છે. રાજયભરમાં ચકચાર  જગાવનાર આ ઘટનાની જાણ રાજયના  મુખ્યમંત્રી રૂપાણીને થતા તેમણે તાત્કાલિક તપાસના આદેશો જારી કર્યા હતા. આ સાથે તેમણે મૃતકોના વારસદારોને રૂા.૪ લાખની સહાયની જાહેરાત પણ કરી હતી. કોરોનાની મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડ હોસ્પિટલ તરીકે કામગીરી જારી છે. ત્યારે અમદાવાદ શહેરની આવી જ એક ખાનગી કોવિડ હોસ્પિટલ એવી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે અચાનક ભયાનક આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ ગમખ્વાર ઘટનામાં હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહેલ આઠ દર્દીઓના મૃત્યુ નીપજયા હતા. રાજયભરમાં ચર્ચા જગાવી દેનાર આ  ઘટનાની જાણ થતા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક તપાસ કરવાના આદેશો જારી કર્યા હતા. આ  સાથે તેમણે બનાવની તપાસ માટે રાજયના  વરિષ્ઠ આઈએએસ અધિકારી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ અને શહેર વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુકિત કરી છે. મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતની તપાસ કરી ત્રણ દિવસમાં તેનો અહેવાલ સરકારને સુપરત  કરવાની સૂચનાઓ પણ આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારા પ્રત્યે સંવેદના વ્યકત કરી દરેક મૃતકના વારસદારોને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી રૂા. ચાર લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને રૂા.પ૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.

 

Exit mobile version