એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર હિલાલ મીરે કહ્યું કે મોદી સરકાર નેશનલ મીડિયાને આ ગાઈડેડ ટુર ફક્ત એટલા માટે જ પૂરી પાડી રહી છે કેમ કે તે દુનિયા સમક્ષ કાશ્મીરની વાસ્તવિક સ્થિતિને લાવવા જ માગતી નથી
(એજન્સી) તા.૭
કલમ ૩૭૦ રદ કર્યાને એક વર્ષ પૂરું થઈ ગયું. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ હટાવવામાં આવી હતી. ત્યારે દલ સરોવરના કિનારે એક ભારતીય પત્રકાર આઈસક્રીમની મજા માણતો દેખાયો તો બીજી બાજુ કાશ્મીરી પત્રકાર કે જે અટકાયતમાં છે તેનો ફોટો જોવા મળ્યો. તેનું નામ કાઝી શિબલી છે.
૫ ઓગસ્ટના રોજ કર્ફ્યૂ અને પ્રતિબંધો વચ્ચે કાશ્મીરમાં લોકોની હળવી અવર-જવર જોવા મળી હતી. ત્યારે બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્રે ભારતીય મીડિયાને ગાઈડેડ મીડિયા ટુરની સુવિધા કરી આપી હતી. તંત્ર એ બતાવવા માગે છે જે થયું નથી. તમને જણાવી દઇએ કે તંત્રએ કલમ ૩૭૦ રદ કર્યા બાદથી જમ્મુ-કાશ્મીરમાં કઇ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી તેના વિશે વાકેફ કરાવવાનો પ્રયાસ કરાયો. જોકે તમને જણાવી દઈએ કે તંત્રની આ હરકતની પણ સ્થાનિકો તથા કાશ્મીરના જ મીડિયા હાઉસોએ આકરી ટીકા કરી હતી.
આ દરમિયાન રાજ્યના જ પત્રકારોએ કહ્યું હતું કે એક તરફ તો સરકાર ભારતીય મીડિયાને ગાઈડેડ મીડિયા ટુરની વ્યવસ્થા કરી આપે છે અને બીજી બાજુ તે ખુદ જ કાશ્મીરી મીડિયાના અવાજને દબાવે છે. આ છે સરકારનું બેવડું વલણ.
વરિષ્ઠ પત્રકાર હિલાલ મીર સતત કાશ્મીરના સ્થાનિક અખબારો સામે ઊભા થયેલા પડકારો અને તેમને પડી રહેલી તકલીફોને જાહેર કરતા આવ્યા છે. ટુ સર્કલ નેટ્સ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મોદી સરકાર નેશનલ મીડિયાને આ ગાઈડેડ ટુર ફક્ત એટલા માટે જ પૂરી પાડી રહી છે કેમ કે તે દુનિયા સમક્ષ કાશ્મીરની વાસ્તવિક સ્થિતિને લાવવા જ માગતી નથી.
રાજ્યની સ્થિતિ એવી કરી નાખી છે કે અહીં વર્તમાન કાશ્મીરી મીડિયાને કોઈ ભાવ અપાતું નથી પરંતુ નેશનલ મીડિયાને વધારી ચઢાવીને રજૂ કરવામાં આવે.