આકરા લોકડાઉન દરમિયાન કરાયેલા સર્વેમાં આ સ્થિતિ હોવાથી હવે મોટાભાગની વસ્તી સંક્રમિત થવાનો ભય, સીરો સર્વેમાં દેશના ૨૧ રાજ્યોના ૭૦ જિલ્લાના ૨૮ હજાર લોકો પર એન્ટીબોડી ટેસ્ટ કરાયો હતો
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ રોકાવાનું નામ લેતો નથી ત્યારે બહાર આવી રહેલા સર્વે વધારે ભયાનક ચિત્ર રજૂ કરે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર) દ્વારા પણ મે માસમાં એક સીરો સર્વે કર્યો હતો અને તેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર) દ્વારા કરાયેલા સીરો સર્વેમાં બહાર આવેલી વિગતો અનુસાર, દેશમાં મે મહિનાની શરુઆતમાં જ ૬૪ લાખ જેટલા લોકો કોરોનાના સંપર્કમાં આવી ગયા હોવાનો અંદાજ પ્રાપ્ત થયો છે. કોરોનાની સ્થિતિ પર ૈંઝ્રસ્ઇએ આ રિપોર્ટ જાહેર કર્યો હતો, જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ સર્વેમાં જણાવાયું છે કે મેની મધ્યમાં દેશની ૦.૭૩ ટકા પુખ્ત વયના લોકો કોરોનાના સંપર્કમાં આવ્યા હતા. દેશના મોટાભાગના જિલ્લામાં તે સમયે કોરોનાનો ખાસ પ્રસાર સામે નહોતો આવ્યો, અને આ બાબત દર્શાવે છે કે દેશની મોટાભાગની વસ્તી હજુય આ વાયરસના સંપર્કમાં આવવાની શક્યતા છે.
૧૮-૪૫ વર્ષની વયજૂથના લોકોમાં સીરો પોઝિટિવિટી (૪૩.૩) સૌથી વધારે હતી, જ્યારે ૪૬-૬૦ વર્ષની વયજૂથના લોકોમાં તેનું પ્રમાણ ૩૯.૫ અને ૬૦ વર્ષથી વધુની વયજૂથમાં ૧૭.૨ હતું. સીરોપ્રિવેલન્સમાં કુલ ૭૦ જિલ્લાના ૭૦૦ ક્લસ્ટર આવરી લેવાયા હતા, અને કુલ ૩૦,૨૮૩ ઘરોનો સર્વે કરાયો હતો. આ ૭૦ જિલ્લામાંથી ૧૫માં ઝીરો, ૨૨ જિલ્લામાં અલ્પ, ૧૬ જિલ્લામાં મધ્યમ અને ૧૭ જિલ્લામાં ઉંચી માત્રામાં કેસો હતા. ૧૧મેથી ૪ જુન વચ્ચે થયેલા આ સર્વેમાં દેશના ૨૧ રાજ્યોના ૭૦ જિલ્લાને આવરી ૨૮,૦૦૦ લોકોના બ્લડ સેમ્પલ લઈ તેના પર એન્ટિબોડી ટેસ્ટ કરાયો હતો. આ સર્વેને ચાર શ્રેણીમાં વહેંચાયો હતો જેમાં શૂન્ય કેસ, ઓછા કેસ, મધ્યમ કેસ અને વધારે કેસ. બીજી તરફ આ સર્વે ત્યારે કરાયો હતો જ્યારે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હતું અને તે સમયે કરાયેલા સર્વેમાં પણ આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત બહાર આવ્યા છે. સીરો સર્વે જણાવે છે કે, જે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો ન હતો તે જિલ્લાઓમાં પણ સીરો સર્વેમાં સંક્રમણના કેસો સામે આવ્યા છે. જે જિલ્લાઓમાં કેસ ન હતા અથવા ઓછા હતા ત્યાં ટેસ્ટિંગનો અભાવ જોવા મળ્યો છે. સર્વે અનુસાર પોઝિટિવિટી રેટ ગ્રામિણ વિસ્તારોમાં ૬૯.૪ ટકા હતો જ્યારે શહેરી સ્લમમાં ૧૫.૯ ટકા અને શહેરી નોન-સ્લમમાં ૧૪.૬ ટકા હતો. જ્યારે સૌથી વધુ ૧૮થી ૪૫ વર્ષની વયજૂથના લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ૧૮થી ૪૫ વર્ષના લોકોમાં સંક્રમણ ૪૮.૫ ટકા, ૪૬થી ૬૦ વર્ષ વચ્ચે ૩૯.૫ ટકા અને ૬૦ વર્ષથી ઉપરના ૧૭.૨ ટકા લોકો સંક્રમિત થયા હતા. મેની શરૂઆતમાં મોટાભાગના જિલ્લાઓમાં સંક્રમણ ઓછું હતું જેનાથી જાણવા મળ્યું કે, ભારત આ મહામારીના શરૂઆતના તબક્કામાં હતો અને મોટાભાગની વસ્તીને સંક્રમણનું જોખમ હતું.
સામાન્ય રીતે જે વ્યક્તિ કોરોનાના સંપર્કમાં આવ્યો હોય તેના શરીરમાં એન્ટિબોડીનું નિર્માણ થતું હોય છે. ૈંઝ્રસ્ઇએ પોતાના સર્વેના પરિણામમાં તમામ સિમ્પ્ટોમેટિક લોકોના ટેસ્ટિંગ, પોઝિટિવ કેસોને આઈસોલેટ કરવા, કન્ટેઈન્મેન્ટના પગલાં લેવા, હાઈરિસ્ક કોન્ટેક્ટ્સનું ટ્રેસિંગ કરવા પર ભાર મૂક્યો છે. જેનાથી કોરોનાનો ફેલાવો ધીમો પાડી શકાય, અને હોસ્પિટલો પરનો બોજ ઘટાડી શકાય. હાલ દેશના મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. શરુઆતમાં જ્યાં કોઈ કેસ નહોતા તેવા બિહાર, નોર્થ-ઈસ્ટમાં પણ હવે નવા કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ફેબ્રુઆરી મહિનામાં કોરોનાનો સૌપ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો. ત્યારબાદ ઉત્તરોત્તર કેસોમાં વધારો થયો હતો, અને તેને અટકાવવા માટે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં આખાય દેશમાં જડબેસલાક લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. બે મહિના ચાલેલા આ લોકડાઉન બાદ જૂનથી તેમાં થોડી રાહતો આપવાની શરુઆત કરાઈ હતી. હાલ દેશમાં અનલોક-૪ ચાલી રહ્યું છે. જોકે, અનલોકની પ્રક્રિયા વચ્ચે હવે દેશમાં રોજેરોજ કોરોનાના નવા કેસોનો રેકોર્ડ બની રહ્યો છે.