કોરોના જેવા ભયાનક વાયરસ સાથે ૧૧૩ દિવસ લાંબો ચાલ્યો સંઘર્ષ !
ખાનગી હોસ્પિટલમાં ૩૦ લાખનો ખર્ચ થયો હોય તેવી સારવાર ૧૧૩ દિવસ વિનામૂલ્યે મળી !
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૮
કોરોના મહામારીના છેલ્લા કેટલાક મહિનાઓના સમયગાળા દરમ્યાન કોરોનામાં સંક્રમિત થયેલ દર્દી ત્રણથી ચાર માસ જેટલા લાંબા સમય સુધી કોરોના સાથે સંઘર્ષમાં રહ્યા બાદ આખરે જિંદગીની બાજી જીતી ગયા છે. ધોળકાના શખ્સના ફેફસાં કોરોનાના કારણે કામ કરતા લગભગ બંધ થઈ ગયા હતા. તેઓએ આજે હોસ્પિટલમાંથી રજા લેતા તેમને સૌએ વધાવી લેતા શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોત તો આશરે રૂા. ૩૦ લાખ જેટલો ખર્ચ થયો હોત તેવા દર્દીને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મળી હતી. કોરોના વાયરસની મહામારીની ઝપેટમાં દેશમાં અંદાજિત ૧ કરોડ આવી ગયા છે. કોરોના થવા પર ઘણા લોકોનું લાંબી બીમારી બાદ મનોબળ તૂટી જતું હોય છે, પરંતુ ડોક્ટર્સ અનેક પ્રયાસો બાદ તેમને મોતના મુખમાંથી પાછા લઈ આવતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં જ અમદાવાદમાં પણ આવો એક મામલો સામે આવ્યો છે. જેમાં એક કોરોના સંક્રમિત દર્દીને ૧૧૩ દિવસની સારવાર આપ્યા બાદ સ્વસ્થ કરીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની સૌથી લાંબી ચાલેલી કોરોનાની સારવારનો કિસ્સો અમદાવાદના સોલા હોસ્પિટલમાં સામે આવ્યો છે. જેમાં શહેરના જ દેવેન્દ્ર પરમાર નામના દર્દીની સોલા સિવિલ હોસ્પિટલમાં ૧૧૩ દિવસની સારવાર બાદ કોરોના મુક્ત થયા હતા. સારવાર દરમિયાન તેમને ૯૦ દિવસ આઈસીયુમાં દાખલ રહ્યા હતા. ત્યારે આજે શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા સમયે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ તેમને શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ નીતિન પટેલે હોસ્પિટલની કામગીરીની પણ સમીક્ષા કરી હતી અને આ સિવાય અન્ય દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા.
૫૯ વર્ષના દેવેન્દ્ર પરમાર ધોળકાની ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેમને ડિસ્ચાર્જ કરતા સમયે નીતિન પટેલે જણાવ્યું કે, તબીબોએ સતત કાળજી રાખી હતી. તેમને વેન્ટિલેટર દરમિનિટ ૭૫ લીટર ઓક્સિજન આપવામાં આવતો હતો. દર મિનિટ ૪ લીટર ઓક્સિજન લેવો પડે તેવી સ્થિતિમાં ૭૫ લીટર અપાતા તેમાંથી તેઓ થોડો જ ઓક્સિજન લઈ શકતા હતા. તેમ છતાં સરકારની વ્યવસ્થા અને તબીબોની મહેનતના કારણે આપણે દર્દીને બચાવવામાં સફળ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં આટલી લાંબી સારવાર લેનાર દેવેન્દ્ર પરમાર પ્રથમ દર્દી છે. આ અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ ૧૦૧ દિવસ સુધી કોરોનાની સારવાર લીધી હતી. દેવેન્દ્ર પરમાર ૧૧૨ દિવસ સુધી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને કોરોનાના હરાવીને ૧૧૩મા દિવસે રજા લીધી હતી.