ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના જીવનને ઐતહાસિક સ્વરૂપે બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના જીવનનો મક્કી કાળ તથા દ્વિતીય મદની કાળ. પોતાના અગાઉના લેખમાં આપણે મક્કી જીવન અંગે વાત કરી હતી. હવે આપણે અહીંયા મદની જીવનનું વર્ણન કરીશું.
મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ તથા તેમના અનુયાયીઓ પર મક્કાવાસીઓની યાતનાઓ જ્યારે વધારે પડતી વધી ગઈ તો મોહમ્મદ (સ.અ.વ.)સાહેબની અનુમતિ મેળવીને મોટાભાગના મુસલમાનોએ મદીના ભણી હિજરત કરી લીધી. કેમ કે મદીના શહેરનું ધાર્મિક વાતાવરણ તેઓના માટે અનુકૂળ હતું. તથા મદીનાવાસીઓ મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના સંદેશને અપનાવતા જઈ રહ્યા હતા. ઈસ્લામની નિરંતર વધતી શક્તિ મક્કાવાસીઓની પરેશાનીનું કારણ બની ચૂકી હતી. તેથી તે લોકોએ ઈસ્લામનો સંપૂર્ણપણે ખાતમો કરી નાખવા માટે અંતિમ ઉપાયના સ્વરૂપમાં મોહમ્મદ (સ.અ.વ.)સાહેબનો કત્લ કરી નાખવાની યોજના બનાવી. અલ્લાહ દ્વારા મોહંમદ(સ.અ.વ.) સાહેબને શત્રુઓની આ ચાલની ખબર પડી ગઈ તથા પયગમ્બર સાહેબને મક્કા છોડી દેવાની પરવાનગી પણ મળી. ઈ.સ. ૬રરના જુલાઈ મહિનામાં પયગમ્બર સાહેબે અલ્લાહના આદેશ અનુસાર મદીનાની તરફ અભિગમન (હિજરત) કર્યું. આ જ તારીખથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારંભ પણ થાય છે. રસ્તામાં ‘કુબા’ નામના સ્થળે પયગમ્બર સાહેબે એક મસ્જિદની સ્થાપના કરી હતી આને ઈતિહાસમાં ‘મસ્જિદે કુબા’ના નામથી ઓળખવામાં આવે છે. મદીના પહોંચ્યા પછી પયગમ્બર સાહેબે એક બીજી મસ્જિદની સ્થાપ્ના કરી હતી જેને મસ્જિદે-નબવીના નામથી ઓળખવામાં આવે છે.
એક સુદૃઢ મુસ્લિમ સમાજની સ્થાપના માટે મક્કા અને મદીનાના મુસલમાનોની વચ્ચે ધર્મના આધારે ભાઈચારાની એક ભાવના પેદા કરવામાં આવી. આ રીતે મદીના પહોંચ્યા પછી મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે એક મહત્ત્વપૂર્ણ કાર્ય આ કર્યું કે મદીના તથા તેમની આસપાસ વસવાટ કરતી વસ્તીઓ સાથે એક લેખિત સમજૂતી કરી જેથી કરીને મદીનામાં શાંતિ સ્થાપિત કરવાની સાથે સુરક્ષાની વ્યવસ્થા કરી શકાય. આ સમજૂતી અનુસાર મુસલમાનો તથા ત્યાં રહેતા જુદા જુદા ધર્મના અનુયાયીઓને એક એકમ માનવામાં આવ્યા ! આ મોહમ્મદ (સ.અ.વ.) દ્વારા લેખિત પ્રથમ સંધિ હતી જેમાં ધાર્મિક બહુમતી, ધર્મ, નિરપેક્ષતા, ધાર્મિક સમાનતા અને સદ્ભાવનાને પ્રાથમિકતા આપવામાં આવી હતી તથા પ્રત્યેક વ્યક્તિને સંપૂર્ણપણે આઝાદી હતી કે તેઓ પોતાના ધર્મનું પાલન કરે.
મદીનામાં મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે પોતાના જીવનના લગભગ દસ વર્ષ પસાર કર્યા હતા. અહીંયા તેમને ઘણા બધા યુદ્ધોનો પણ સામનો કરવો પડ્યો. જેમાં જંગ-એ-બદ્ર, જંગ-એ-ઉહદ, જંગ-એ-ખંદક, જંગ-એ-ખૈબર, જંગ-એ-હુનૈન અને જંગ-એ તબૂક મહત્ત્વપૂર્ણ છે. પાંચ હિજરીમાં મુસલમાનો તથા મક્કાના રહેવાસીઓ વચ્ચે હુદૈબિયા નામની એક સંધિ થઈ, જેને ઈસ્લામી ઈતિહાસમાં ખૂબ જ મહત્ત્વ પ્રાપ્ત છે. આઠ હિજરીમાં મોહંમદ (સ.અ.વ.) તથા તેમના અનુયાયીઓએ મક્કા ઉપર વિજય હાંસલ કરી લીધો. દસ હિજરમાં મોહમ્મદ (સ.અ.વ.)એ લગભગ દોઢ લાખ મુસલમાનોની સાથે પોતાના જીવનની પ્રથમ અને અંતિમ હજ કરી. આ પ્રસંગે અરફાતના મેદાનમાં પયગમ્બર સાહેબે જે ઐતિહાસિક ભાષણ અને સંદેશ આપ્યો તે માનવાધિકારનું પ્રથમ ઘોષણા પત્ર છે. આમાં માનવ સ્વતંત્રતા, સમાનતા અને સદ્ભાવનો વિશ્વ વ્યાપી સંદેશ આપવામાં આવ્યો છે. હિજરી સંવત ૧૧ તથા ઈ.સ. ૬૩રમાં ૬૩ વર્ષની ઉંમરે પયગમ્બર સાહબ આ ફાની દુનિયા છોડીને જન્નતનશીન થયા.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)