ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
હદીસનો શાબ્દિક અર્થ છે વાતચીત, કથન, સૂચના અને ઘટના વગેરે. પરંતુ જ્યારે હદીસનો શબ્દ ઈસ્લામ ધર્મના વિશેષ સંદર્ભમાં પ્રયોગ કરવામાં આવે છે તો આનો પારિભાષિક અર્થ થાય છે અલ્લાહના અંતિમ પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના પ્રવચન, કાર્ય તથા અનુમોદન (અર્થાત એવા કાર્ય જે મોહમ્મદ (સ.અ.વ.) સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ અથવા મોહમ્મદ (સ.અ.વ.) સાહેબને તેની સૂચના આપવામાં આવી અને મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે તેને સ્વીકૃતિ પ્રદાન કરી હોય.)
મુસ્લિમ આસ્થા અનુસાર કુર્આન અલ્લાહની તરફથી અવતરિત અંતિમ સંપૂર્ણ સંવિધાન છે જેમાં જીવન જીવવાના નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ આમાં તમામ નિયમો અને સંવિધાનોનો ઉલ્લેખ વિસ્તારપૂર્વક થયો નથી, કારણવશ આવશ્યકતા હતી એવી વિભૂતિની છે કુર્આનના સંપૂર્ણ સંવિધાનોની વ્યાખ્યા કરે તથા તેનું પાલન કરીને તેને માનવજીવનમાં ક્રિયાન્વિત કરે. આ કાર્ય માટે અલ્લાહે સંસારમાં પોતાના અંતિમ પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબને નિયુક્ત કર્યા. આપ(સ.અ.વ.) સાહેબે પોતાનું સમસ્ત જીવન અલ્લાહના આદેશ અનુસાર વિતાવીને આ બતાવી દીધું કે એક મુસલમાનનું જીવન કેવા પ્રકારનું હોવું જોઈએ. મોહમ્મદ (સ.અ.વ.) સાહેબનું સંપૂર્ણ જીવન તથા આપના પ્રવચન પણ ઐતિહાસિક સ્વરૂપે પૂર્ણતઃ સુરક્ષિત છે. આને ઈસ્લામી ઈતિહાસમાં હદીસ અને સુન્નતના નામથી ઓળખવામાં આવે છે. આ પણ ઈસ્લામ ધર્મનો મૌલિક સ્ત્રોત છે જેને ઈસ્લામમાં બીજા મૌલિક સ્ત્રોત સ્વરૂપે ગણવામાં આવે છે. કેમ કે મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના પ્રવચનો અને કાર્યોની મહત્તાનું વર્ણન કુર્આનમાં વિવિધ સ્થળોએ સ્પષ્ષ્ટપણે કરવામાં આવ્યું છે.
કુર્આનમાં અલ્લાહનું કથન છે કે મોહમ્મદ(સ.અ.વ.) સાહેબ જે કાંઈ તમને આપે લઈ લો તથા જે કાર્ય કરવાથી તમને અટકાવે તે કરવાથી થંભી જાવ. એક બીજા સ્થળે અલ્લાહનું વર્ણન છે કે જેણે મોહમ્મદ (સ.અ.વ.)ના આદેશ માન્યા તો વાસ્તવમાં તેણે અલ્લાહના આદેશ માન્યા. આ જ રીતે એક અન્ય સ્થળે કુર્આનમાં વર્ણિત કરવામાં આવ્યું છે કે મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ પોતાની તરફથી કોઈપણ વાત કહેતા નથી એટલે કે તેઓ એ જ વાત કહે છે જેને અલ્લાહની તરફથી તેમની ઉપર અવતરિત કરવામાં આવી છે.
અન્ય એક સ્થળે અલ્લાહે પોતાના અંતિમ પયગમ્બરને સંબોધિત કરતાં કહ્યું છે કે અમે તમારી ઉપર કુર્આન અવતરિત કર્યું છે જેથી કરીને તમે લોકોની સમક્ષ આનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરી દો.
ઉપરોક્ત વર્ણિત કુર્આનની આયતોથી આપણને ઈસ્લામ ધર્મમાં મોહમ્મદ(સ.અ.વ.) સાહેબના પ્રવચનો તથા તેમના કાર્યોના મહત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તથા આપણને આ વાતનું પણ જ્ઞાન થાય છે કે મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે જે પણ પ્રવચન આપ્યા અથવા જે પણ કાર્ય કર્યા તે તમામ અલ્લાહના અવતરણ અનુસાર જ હતા. પરિણામ સ્વરૂપે આ તમામને પણ ઈસ્લામી ઈતિહાસમાં સંપૂર્ણ સુરક્ષિત કરી દેવામાં આવ્યા. કેમ કે આમના વિના કુર્આનને સમજવું અસંભવ હતું.
ઈસ્લામમાં મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના જીવનને કુર્આનનું વ્યવહારિક રૂપ કહેવામાં આવે છે. એક મુસલમાન માટે આનું અનુસરણ એ જ પ્રકારે અનિવાર્ય છે જેવી રીતે કુર્આનનું, તેથી આને ઈસ્લામના મૌલિક સ્ત્રોતોમાં ગણવામાં આવે છે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)