
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
ન્યાય શબ્દ માનવ સમાજ માટે હરહંમેશથી જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે કેમ કે ન્યાય વિના માનવ સમાજની સ્થાપના તો સંભવ છે પરંતુ તેની સુદૃઢતા તથા તેને યોગ્ય સ્વરૂપે ચલાવવા અને પ્રગતિ ભણી આગળ વધવા માટે ન્યાય અત્યંત આવશ્યક છે. આ જ કારણે જુદાજુદા સમાજ તથા ધર્મોમાં ફક્ત આના મહત્ત્વનું વર્ણન કર્યું છે. એટલું જ નથી પરંતુ આની યોગ્ય ક્રિયાત્મક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઈસ્લામી શિક્ષાઓ ન્યાયની સંપૂર્ણપણે સહયોગી તથા તરફેણ કરે છે. એટલું જ નહીં પરંતુ તેને વ્યવહારિક જીવનમાં લાગુ કરવા માટે સહાયક પણ છે. કુર્આનમાં અલ્લાહનું કથન છે કે, ‘ઈમાનવાળા ન્યાયની સ્થાપના કરનારા તથા અલ્લાહ માટે ગવાહી (સાક્ષી) આપનારા બનો. ભલે તે સાક્ષી તમારા માતા-પિતા તથા સગા-સંબંધીઓની વિરૂદ્ધ હોય. જેની વિરૂદ્ધ સાક્ષી આપવામાં આવી રહી હોય તે ધનવાન અથવા નિર્ધ્ન હોય તો અલ્લાહ તેનું વધારે ભલું કરનાર છે, તમે પોતાની ઈચ્છાઓનું અનુસરણ કરવામાં ન્યાયથી પાછીપાની ન કરો.
ઈસ્લામી શિક્ષાઓ ન્યાયની સ્થાપના માટે કોઈપણ સીમાઓનો સ્વીકાર નથી કરતી. અલ્લાહનું કથન છે કે ‘કોઈ વર્ગની શત્રુતા તમને આ વાતની પરવાનગી આપી ન દે કે તમો ન્યાય ન કરો. ન્યાય કરો, આ જ વાત અલ્લાહની આજ્ઞાપાનની નજીક છે.
આ જ કારણે ઈસ્લામની દૃષ્ટિમાં અપરાધ માટે દંડ આપતી વખતે કોઈપણ તકરાર ભેદભાવ અથવા પક્ષપાત કરવાની પરવાનગી આપવામાં આવી નથી. પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના યુગની એક પ્રસિદ્ધ ઘટના છે કે એક ઉચ્ચ પરિવારની મહિલા ચોરી કરતા પકડાઈ ગઈ. લોકોએ મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ સમક્ષ ક્ષમાયાચના માટે ફરમાઈશ કરાવી તે અંગે આપે કહ્યું કે અય લોકો ! તમારા પૂર્વેની કૌમોનો અંત આ જ કારણે થયો કે તેઓમાંથી જ્યારે કોઈ મોટો માણસ અપરાધ કરતો તો લોકો તેને છોડી મૂક્તા હતા પરંતુ જ્યારે સાધારણ વ્યક્તિ અપરાધ કરતો તો તેને દંડ આપતા અર્થાત સજા કરતા હતા. અલ્લાહના સોગંદ જો મોહમ્મદ (સ.અ.વ.) સાહેબની પુત્રી પણ ચોરી કરતી તો તેને પણ સજા ફટકારવામાં આવતી.
ન્યાયની સ્થાપના માટે પ્રત્યેક રૂપના અન્યાયનો અંત આવશ્યક છે. આ સંદર્ભે અલ્લાહનું કથન છે કે ‘અય મારા અનુયાયીઓ ! મેં અન્યાય અને અત્યાચારને મારી ઉપર પ્રતિબંધિત કર્યા છે અને તમારા માટે પણ તેને પ્રતિબંધિત કરી દીધા છે. તેથી તમે એકબીજા ઉપર અન્યાય ન કરો.’
અન્યાય અને અત્યાચાર ફકત આ જ નથી કે કોઈને શારીરિક કષ્ટ પહોંચાડવામાં આવે પરંતુ કોઈપણ પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવી, અનાદર કરવો, માનસિક કષ્ટ આપવું પણ અન્યાય છે. આ જ કારણે મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે હત્યાને કૃતધ્નતા બતાવી તો અપશબ્દને દુરાચાર. અભિમાન, અહંકાર તથા ક્રોધ અને ઘૃણાની નિંદા કરી કેમ કે આ તમામ બાબતો સ્પષ્ટપણે અન્યાયની શ્રેણીમાં આવે છે કે પછી અન્યાયનું કારણ બને છે.
ઈસ્લામી શિક્ષાથી આપણને આ બોધધપાઠ પણ મળે છે કે જે લોકો અન્યાયને જોઈને તેનો અંત લાવવાનો પ્રયાસ ન કરે તો અલ્લાહ તેઓની ઉપર પોતાનો પ્રકોપ ઉતારે છે. ઈસ્લામમાં કોઈપણ પ્રકારના અન્યાયને યોગ્ય માનવામાં આવ્યો નથી. ત્યાં સુધી કે પક્ષપાતને પણ. ઈસ્લામી શિક્ષાઓમાં પક્ષપાતની આકરી અને સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરવામાં આવી છે, કેમ કે વર્ગીય, ક્ષેત્રીય, ભાષાકીય તથા ધાર્મિક પક્ષપાતની પણ જે પ્રાયઃ અન્યાયનું કારણ બને છે.
ન્યાય અને નૈતિક વિચાર, માનસિક સ્વભાવ અને કાર્યશૈલીનું નામ છે. ન્યાયની વિચારધારા સૌપ્રથમ એક બીજ સ્વરૂપે વ્યક્તિ વિશેષમાં જન્મ લે છે અને અંદરોઅંદર એક લાંબા આત્મિક અને નૈતિક શિક્ષણ પછી એક વટવૃક્ષ તરીકે પાંગરે છે. કોઈપણ નિયમ તથા શાસન વ્યવસ્થા, કોઈ એવા સમાજને, જે પોતાના સ્વભાવને અનુરૂપ જાતિ, બિરાદરી અને જુદા જુદા જૂથોમાં વિભાજિત હોય, સામાજિક ન્યાય અપાવી શકતા નથી જ્યાં સુધી કે તે સમાજના લોકો પોતાના તથા અન્યો માટે સ્વયં ગુંજાઈશો પેદા ન કરે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)