અશ્વિનની કમાલ સ્પિન બોલિંગ અને ઓલરાઉન્ડ દેખાવથી ભારત શ્રેણીમાં ૧-૦થી આગળ
ઓફ સ્પિનરે ૮૮ રનમાં ૬ વિકેટ ઝડપતા બાંગ્લાદેશ ટીમનો બીજો દાવ ૨૩૪ રનમાં સંકેલાયો : જાડેજાને ૩ વિકેટ, ૩૦૦ વિકેટથી એક જ વિકેટ દૂર
૩૭મી વખત એક દાવમાં ૫ વિકેટ લઈ શેન વોર્નના વિશ્વ વિક્રમની બરાબરી કરતો અશ્વિન “પ્લેયર ઓફ ધ મેચ” જાહેર
ચેન્નાઈ, તા.૨૨
ભારતના લાજવાબ સ્પિનર આર અશ્વિનના અદભુત ઓલરાઉન્ડ દેખાવની મદદથી આજે પહેલી ટેસ્ટના ચોથા દિવસે ભારતે બાંગ્લાદેશની ટીમને ૨૮૦ રને કારમો પરાજય આપ્યો હતો. સદી ફટકારનાર અને બાદમાં ૬ વિકેટ ઝડપનાર અશ્વિન “પ્લેયર ઓફ ધ મેચ” જાહેર થયો હતો. આ રીતે ભારતે બે ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી હતી. બીજી ટેસ્ટ મેચ હવે કાનપુરમાં રમાશે. આ ટેસ્ટમાં અશ્વિને વધુ એક મહાન સિદ્ધિ મેળવી હતી ઓફ સ્પીનરે ટેસ્ટમાં ૩૭મી વખત એક દાવમાં ૫ વિકેટ લઈને શેન વોર્નના વિશ્વ વિક્રમની બરાબરી કરી લીધી હતી. આ રીતે ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં સતત વિજયનો સિલસિલો જાળવી રાખ્યો હતો. ભારતે આપેલા ૫૧૫ રનના અત્યંત પહાડી લક્ષ્યિાંકને પાર કરવા માટે બાંગ્લાદેશ ટીમ ચોથા દિવસે મેદાનમાં ઊતરી પણ અશ્વિનની જાદુઈ સ્પિન ચકરી સામે લંચ પહેલાં તો બાંગ્લાદેશનો બીજો દાવ પણ સંકેલાઈ ગયો હતો. લંચ પહેલા એમની ૬ વિકેટ ખડી પડી હતી અને અશ્વિનનું બુલડોઝર ફરી વળ્યું હતું અને ભારતનો ભવ્ય વિજય થયો હતો. અશ્વિને ૮૮ રનમાં ૬ વિકેટ ઉપાડી લીધી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ ૫૮ રનમાં ૩ વિકેટ લીધી હતી. આ રીતે જાડેજા ૩૦૦ વિકેટની સિદ્ધિથી માત્ર ૧ વિકેટ દૂર છે. જ્યારે અશ્વિને ૩૭મી વખત ટેસ્ટમાં એક દાવમાં ૫ વિકેટ ઝડપીને વોર્નના વિશ્વ વિક્રમની બરાબરી કરી હતી. આ રીતે આ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ લાજવાબ સ્પિન બોલિંગથી ટીમને વિજય ભણી દોરી જનાર અશ્વિન માટે આ ટેસ્ટ યાદગાર બની રહ્યી હતી.
બાંગ્લાદેશ તરફથી એક માત્ર એમના સુકાની નજમુલ હુસેન શાંતોએ એકલા હાથે ટક્કર લીધી અને આકર્ષક ૮૨ રન કર્યા હતા જેમાં ૩ છગ્ગા અને ૮ ચોગ્ગા સામેલ હતા પણ બાંગ્લાદેશ સુકાનીને સામા છેડા પર કોઈએ લાંબો સાથ આપ્યો ન હતો. એક માત્ર શાકીબલ હસને ૨૫ રન કરીને થોડો ટેકો આપ્યો હતો પણ અશ્વિનની ફીરકી સામે બાકીની આખી ટીમ ધૂળ ચાંટતી થઈ ગઈ હતી. એમની સામે અશ્વિનનો સામનો કરવાની હામ કે હિંમત દેખાયા ન હતા. આ રીતે ભારતે ૨૮૦ રને ભવ્ય વિજય મેળવ્યો હતો અને અશ્વિને ચેન્નાઈના ચિદમબરમ્ સ્ટેડિયમ ખાતે ઘરઆંગણે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. બીજી ટેસ્ટ ૨૭ સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થશે. એ માટે સિલેકશન કમિટીએ પહેલી ટેસ્ટની ટીમ જ જાળવી રાખી છે.