(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
તામિલનાડુના તિરૂનેલવેલી, મદુરાઈમાં ૨૬ સપ્ટેમ્બર ગુરૂવારના રોજ એક અદાલતે ત્રણ દલિતોની હત્યાના કેસમાં ચાર આરોપીઓને મૃત્યુદંડ અને સાત અન્યને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓએ ૨૦૧૪માં આ હત્યા કરી હતી.
માહિતી અનુસાર કે.મુરૂગન (૪૦), આર.વેણુગોપાલ (૪૨) કોઈમ્બતુર જિલ્લાના ગામ ઉદયપંકુલમમાં મજૂર તરીકે કામ કરતા હતા. બંને મજૂરો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. લગ્ન સમારોહમાં હાજરી આપ્યા પછી, મુરૂગનનો ભાઈ કલિરાજ બંનેને લેવા માટે બાઇક લાવ્યો. કલિરાજ બાઈક પર બંનેને ઘરે લઈ જઈ રહ્યો હતો, આ દરમિયાન લગભગ બે ડઝન લોકોએ તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં ત્રણેય દલિતોના મોત થયા હતા. પોલીસે આ કેસમાં કડકતા દાખવી તમામ યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં ટ્રાયલ દરમિયાન ત્રણ આરોપીઓ મૃત્યુ પામ્યા હતા જ્યારે ૨૪ સપ્ટેમ્બરે કોર્ટે અન્ય ૧૧ને દોષિત ઠેરવ્યા હતા. આ પછી, કોર્ટે ૨૬ સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ તમામ ૧૧ આરોપીઓને સજાની જાહેરાત કરી. કોર્ટે આ કેસમાં ૪ આરોપીઓને ફાંસીની સજા અને ૭ને આજીવન કેદની સજા ફટકારી છે. બીજી તરફ કોલકાતામાં POCSO એક્ટ હેઠળ જેલમાં બંધ એક વ્યક્તિને કોર્ટે મોતની સજા સંભળાવી છે. દોષિત યુવક ગેસ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. જેણે માર્ચ ૨૦૨૩માં મકાનમાલિકની ૭ વર્ષની પુત્રી પર બળાત્કાર કર્યો હતો અને તેની હત્યા કરી હતી. આ કેસમાં આરોપીની પત્નીએ તેની વિરૂદ્ધ જુબાની આપી હતી. તાંત્રિકની સલાહથી આ કૃત્ય આચરવામાં આવ્યું હતું અને યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.