(એજન્સી) તા.૨૭
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં ઈઝરાયેલ ગાઝામાં એક પછી એક હુમલાઓ કરી રહ્યું છે. ગાઝાના યૂનિસ શહેરમાં ઈઝરાયેલની સેનાએ શરણાર્થી કેમ્પને નિશાન બનાવ્યું છે. જેમાં ઓછામાં ઓછા ૨૨ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં ૧૧ મહિલાઓ અને બે બાળકો સામેલ હતા. કેટલાક લોકોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ હવાઈ હુમલા બેત લાહ્યા વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘાયલનો આંકડો ૧૫થી વધુ હોવાનો જણાવવામાં આવી રહ્યું છે.
ઈઝરાયેલની સેનાએ આ હુમલા પર નિવેદન આપ્યું હતું કે, તેણે એલર્ટ જાહેર કર્યા બાદ હમાસની સેનાને નિશાન બનાવી હતી. જો કે, આ હુમલામાં પોતાનો પુત્ર ગુમાવનાર રમજાન સુબ્બોએ દાવો કર્યો છે કે, હુમલા પહેલાં કોઈ ચેતવણી આપી ન હતી. અચાનક મિસાઈલ તેમના ઘરની વચોવચ ફેંકવામાં આવી હતી.
ઈઝરાયેલ સેના દ્વારા થઈ રહેલા હુમલામાં ગત વર્ષે ઓક્ટોબરથી અત્યારસુધીમાં લગભગ ૪૩ હજાર પેલેસ્ટીની માર્યા ગયા છે. લાખો લોકોને ઈજા થઈ છે. ૨૩ લાખની વસ્તીમાંથી ૯૦ ટકા લોકો બેઘર થયા છે. કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે. ઈઝરાયેલ લેબેનોનમાં આવેલા આતંકી સંગઠન હિઝબુલ્લાહના કેમ્પ પર સતત હુમલાઓ કરી રહ્યું છે. હિઝબુલ્લાહના હથિયારો અને સંપત્તિને પણ નષ્ટ કરવા મિસાઈલો છોડી રહ્યું છે.
ઈઝરાયલે બેરૂતમાં હુમલો કરતાં ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ લોકો માર્યા ગયા છે. અને ૧૩૩ ઈજાગ્રસ્ત થયા છે. છેલ્લા એક વર્ષમાં આ યુદ્ધમાં ૨૬૩૪ લેબેનોનીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગત શુક્રવારે લેબેનોનના દક્ષિણ-પૂર્વમાં એક ઈમારતને નિશાન બનાવતાં મોટો હવાઈ હુમલો કર્યો હતો. જેમમાં ત્રણ પત્રકારો માર્યા ગયા હતા. અત્યારસુધી ૧૧ પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આઠ ઘાયલ થયા છે.