અમદાવાદ, તા.૫
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવાની વ્યૂહરચનાના ભાગરૂપે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ દ્વારા જીએલએસ કોલેજ સહિતની કોલેજમાં મોેંેઘવારી યાત્રા કાઢી ભાજપના રાજમાં ફી વધારા અને શિક્ષણના વ્યાપારીકરણની પોલ ખોલવામાં આવી હતી. એનએસયુઆઇના સંખ્યાબંધ કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરોધી અને ફી ઘટાડા અંગેના સૂત્રોચ્ચાર અને નારાઓ લગાવવામાં આવ્યા હતા. બીજીબાજુ, કોંગ્રેસપક્ષનો ભાજપની મોંઘવારી માર સામે વિરોધમાં ઉતારવામાં આવેલો મોંઘવારી રથ શહેરના હાટકેશ્વર સહિતના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો અને ભાજપ પર આકરા પ્રહારો કરતાં બેનરો, સ્લોગન સાથે જોરદાર વિરોધ વ્યકત કરાયો હતો. ગુજરાત વિધાનસભાની આગામી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપને બધી રીતે મ્હાત આપવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસે ખેડૂતો, મહિલાઓ, વેપારી વર્ગ સહિતના વર્ગમાં પોતાની રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના અમલી બનાવી છે તો, રાજયના યુવા મતદારોને આકર્ષવા અને તેમના મત હાંસલ કરવા કોંગ્રેસે સૌપ્રથમવાર એનએસયુઆઇને જવાબદારી સોંપી છે. એનએસયુઆઇને ચૂંટણીલક્ષી આ મહત્વની જવાબદારી સોંપાતા તેના નેતાઓ અને આગેવાનો પણ હરકતમાં આવી ગયા છે અને પક્ષને સારૂ પરિણામ આપવા કટિબધ્ધ બન્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોલેજીયન યુવા મતદારોને આકર્ષવા કોંગ્રેસે આ અનોખી રણનીતિ અખત્યાર કરી છે. કોંગ્રેસની રણનીતિના ભાગરૂપે કોલેજીયન અને યુવા મતદારોને આકર્ષવા માટે એનએસયુઆઇ દ્વારા અમદાવાદ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાનોમાં કોંગ્રેસપક્ષનો ચૂંટણી પ્રચાર અને પ્રસાર કરવાનું શરૂ કરી દેવાયું છે. સાથે સાથે રાજયમાં કોલેજોની સંખ્યા, વિદ્યાર્થીઓની સુવિધા, તેમની અગવડો-મુશ્કેલીઓ, ફી સહિતના મુદ્દાઓને લઇ પક્ષનો અસરકારક પ્રચાર કરી ભાજપ સરકારને ખુલ્લી પાડવામાં આવી રહી છે. એનએસયુઆઇના નેતાઓ અને અગ્રણીઓ દ્વારા ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરોમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાયુ છે અને આ શહેરોની શૈક્ષણિક સંસ્થાઓ-કોલેજોમાં યુવા મતદારોને રૂબરૂ મળી તેઓને શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની નિષ્ફળતાઓથી પરિચિત કરાવી કોંગ્રેસનું શાસન લાવી સસ્તુ, સુવિધાયુકત અને અસરકારક શિક્ષણની ખાતરી આપી રહ્યા છે.