નવીદિલ્હી, તા. ૬
કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિક્કિમ સેક્ટરમાં ડોકલામની પાસે ચીન દ્વારા માર્ગ નિર્માણના કામને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સ્પષ્ટીકરણની માંગ કરી છે. રાહુલે એક વેબસાઇટના અહેવાલ પર રિટિ્વટ કરતા કહ્યું છે કે, મોદી હંમેશા છાતી ઠોકીને દાવા કરતા રહે છે પરંતુ ચીન દ્વારા ફરી એકવાર ડોકલામ નજીક માર્ગ નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે તે અંગે માહિતી આપવી જોઇએ. ચીનની સેના ડોકલામ વિવાદાસ્પદ સ્થળથી ૧૦ કિલોમીટરના અંતરે માર્ગ નિર્માણનું કામ શરૂ કરી ચૂક્યું છે તેવા મીડિયા અહેવાલ બાદ રાહુલે આ પ્રતિક્રિયા આપી છે. ભારત અને ચીનની સેનાઓ વચ્ચે વિવાદ એ વખતે શરૂ થયો હતો જ્યારે ચીનની પિપલ્સ લિબ્રેશન આર્મીએ જૂન મહિનાના મધ્યમાં માર્ગ નિર્માણનું કામ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ નિર્માણ કામને રોકવા માટે સિક્કિમ સરહદ પાર કરી લીધી હતી. આ સમગ્ર વિવાદ પર ભારત અને ભૂતાને પણ ચીન ઉપર યથાસ્થિતિનો ભંગ કરવાનો આક્ષેપ કર્યો છે. ચીને દાવો કર્યો છે કે, આ વિસ્તાર તેના પોતાના તરીકે છે જેથી પોતાના ક્ષેત્રમાં તે કંઇપણ કરી શકે છે. ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યા બાદ મોદી સપ્ટેમ્બર મહિનામાં ચીનની યાત્રાએ પહોંચ્યા તે પહેલાં આ વિવાદનો અંત આવ્યો હતો. રાહુલ ગાંધીએ ડોકલામનો જટિલ મુદ્દો ઉઠાવીને ફરી એકવાર ચર્ચા જગાવી છે. એવા અહેવાલ પણ આવી ચૂક્યા છે કે, ચીને સરહદ ઉપર મોટી સંખ્યામાં જવાનો પણ તૈનાત કર્યા છે. મોટી સંખ્યામાં ભારતીય જવાનો તૈનાત હોવા છતાં ચીન દ્વારા કઇરીતે પોતાના માર્ગને વધુ પહોંળુ કરવાનું કામ હાથ ધર્યું છે તે અંગે પ્રશ્ન રાહુલે કરીને સરકારની મુશ્કેલીઓને વધારવાના પ્રયાસો કર્યા છે. ચીને હમેશા ડોકલામ પ્રદેશ ઉપર પોતાના દાવાની વાત કરી છે.