Site icon Gujarat Today

NTPC દુર્ઘટનામાં મૃતાંક વધી ૨૯, રાહુલ ગાંધી ઘાયલોને મળવા પહોંચ્યા

રાયબરેલી, તા. ૨
ઉત્તરપ્રદેશના રાયબરેલીના ઊંચાહાર ખાતે આવેલા NTPC સંયંત્રનું બોઇલર ફાટવાને કારણે મોતનો આંકડો ગુરૂવારે વધીને ૨૯ પર પહોંચી ગયો હતો જ્યારે ૧૦૦ કરતા વધુ કામદારો ઘવાયા છે. બુધવારે બનેલી દુર્ઘટના બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર અભિયાન ‘નવસર્જન યાત્રા’ને સ્થગિત કરી દીધી હતી અને તેઓ રાયબરેલી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ સૌ પહેલા પોસ્ટમોર્ટમ હાઉસની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ સીધા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં માર્યાગયેલા લોકોના પરિવારજનો અને ઘાયલો સાથે તેમણે મુલાકાત કરી હતી અને એનટીપીસી વિસ્ફોટ મામલે ન્યાયિક તપાસની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાયબરેલી તેમના માતા તથા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો સંસદીય વિસ્તાર છે. આ દરમિયાન ઘાયલો અને મૃતકોના પરિવારજનોને મળવા પહોંચેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીડિતોના પરિવારો તમામ સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું.
બીજી તરફ રાયબરેલીના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઊંચાહારમાં થયેલી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસ કાર્યકરોને જણાવ્યું હતું કે, તેઓ પીડિતોની દરેક સંભવ મદદ કરે. હાલ મોરેશિયસના પ્રવાસે ગયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનો તથા ઘાયલો માટે સહાયતા રકમની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી દેશમાં ન હોવાથી ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા ઘાયલોને મળવા માટે રાયબરેલી જશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટનામાં થયેલા મોત અંગે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા આર્થિક મદદની જાહેરાત કરી છે. આ સાથે જ ગંંભીર રૂપે ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા તથા અન્ય ઘાયલોને ૨૫-૨૫ હજાર રૂપિયા આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. દરમિયાન માનવ અધિકાર સંગઠને ઉત્તરપ્રદેશ સરકારને બ્લાસ્ટ મામલે નોટિસ પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંચાહાર દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યું છે. કેન્દ્રીય વીજ મંત્રી આરકે સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે એનટીપીસીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપ સિંહને તરત ઘટનાસ્થળે જવાનો નિર્દેશ આપ્યો છે. દુર્ઘટના અંગે ગુરૂવારે સવારે પત્રકારનો જાણકારી આપતા લખનઉમાં ગૃહ વિભાગના મુખ્ય સચિવ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, બોઇલર ફાટવાને કારણે બનેલી ઘટનામાં બુધવારે રાતે ૧૦ લોકોના મોત થયા હતા. આ સાથે જ મોતને ભેટનારાઓની સંખ્યા ગુરૂવારે ૨૬ થઇ ગઇ છે. બુધવારે મોડી રાત સુધી મોતને ભેટનારાઓની સંખ્યા ૧૬ જાણવા મળી હતી.
રાયબરેલીના મુખ્ય મેડીકલ ઓફિસર ડીકે સિંહે જણાવ્યંુ હતું કે, દુર્ઘટનામાં ઘાયલ થયેલા આશરે ૬૦થી વધુ લોકોની સારવાર હોસ્પિટલ તથા લખનઉના ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઊંચાહારમાં આવેલું વીજ પ્લાન્ટ ૫૦૦ મોગાવોટ ક્ષમતાવાળું સંયંત્ર છે જ્યાં બોઇલર ફાટવાને કારણે મોટી સંખ્યામાં મજૂરો ઘાયલ થયા હતા. દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા મજૂરોને ગ્રીન કોરિડોર બનાવી દિલ્હી મોકલવાની તૈયારી ચાલી રહી છે.
આશરે ૧૦૦થી વધુ મજૂરોની રાયબરેલી, લખનઉ અને ઇલાહાબાદની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ત્રણ વરિષ્ઠ અધિકારીઓને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા છે. એનટીપીસીના વિસ્ફોટના કારણોની તપાસ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. રાયબરેલી જિલ્લાની ઊંચાહાર તેહસીલ પાટનગર લખનઉથી આશરે ૧૧૦ કિલોમીટર દૂર છે.

યુપી NTPC વિસ્ફોટ : કામદારોએ સંભવિત
હોનારતની પૂર્વ ચેતવણી આપી હતી

શું રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશને રાયબરેલીમાં ઉચ્ચાહાર થર્મલ પાવર પ્લાન્ટના નવા ૫૦૦ એમડબલ્યુના યુનિટ નં. ૬ ના નિર્માણની મંજૂરી આપવામાં ઉતાવળ કરી હતી. જેના માટે સલામતીના માનકો અને સુરક્ષાના પગલાંની ઉપેક્ષા કરવામાં આવી હતી ? જો પ્લાન્ટ એન્જિનિયરો અને કામદારો દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસાને સાચા માનવામાં આવે તો આ સવાલનો જવાબ હા માં હોઈ શકે. ઉચ્ચાહારા એનટીસીપીના થર્મલ પાવર સ્ટેશનમાં થયેલા વિસ્ફોટને ભારતમાં પાવર પ્લાન્ટના ઈતિહાસમાં થયેલા અત્યાર સુધીના ભીષણ ઓદ્યોગિક હોનારત તરીકે જોવામા આવી રહી છે. અત્યાર સુધીમાં વિસ્ફોટમાં ૨૯ કામદારોનુ મોત થયું છે અને મૃતાંક વધવાની સંભાવના છે. લગભગ ૧૦૦ કામદારોને ઈજા પહોંચી છે. રાયબરેલીના જિલ્લા અધિકારીઓનું કહેવું છે કે, દબાણના પરિણામ સ્વરુપે પાઇપમાં બ્લાસ્ટ થયો હતો જેના પરિણામ સ્વરુપે ત્યાં કામ કરી રહેલા મજુરો સકંજામાં આવી ગયા હતા. ઓછામાં ઓછા ૧૦૦ લોકો ઘાયલ પણ થયા છે. એનટીપીસીમાં થયેલા આ બનાવને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હાલમાં તેઓ મોરિશિયસના પ્રવાસે છે. આદિત્યનાથે પ્રમુખ સચિવ ગૃહને ઘટનાસ્થળ પર જઇને કામગીરી પર નજર રાખવા આદેશ કર્યો છે. એનટીપીસીના જનરલ મેનેજર સ્તરના એક અધિકારીએ કહ્યું કે નવું બની રહેલું યુનિટ નં. ૬ હજુ પણ ચકાસણી હેઠળ છે. જો કોઈ નવું એકમ સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટે છ મહિનાથી એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન એન્જિનિયિરો આ પ્રણાલીના દરેક તબક્કા પર નજર રાખતાં હોય છે જેથી કરીને યુનિટ તેની સ્થાપિત ક્ષમતા અનુસાર કામ કરી રહ્યુું છે કે નહીં તેની ખાતરી રાખી શકાય.

Exit mobile version