(એજન્સી) તા.ર૪
ર૦૧૪માં જ્યારે ભાજપ સત્તા પર આવી ત્યારે તેણે વર્ષે ૧૦ મિલિયન નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. ર૦૧૯માં આ વાતની ચકાસણી થઈ જશે કે કેટલી હદે આ વચન પૂર્ણ કરવામાં આવ્યું જ્યારે સરેરાશ ભારતીયોની વય ર૮ વર્ષ છે ત્યારે નોકરીઓનો મુદ્દો ર૦૧૯ના જનાદેશમાં મહત્ત્વનો ભાગ ભજવશે. મોદી સરકાર નોકરીઓના મુદ્દા પર કેટલી સફળ થઈ છે ? સરકારનો દાવો છે કે, તેણે આ બાબતમાં ઘણુ કાર્ય કર્યું છે તો ચાલો સરકારના દાવાઓની ચકાસણી કરીએ. એનડીએ સરકાર કેટલાક વ્યવસાય જુઓ અને એજન્સીઓના અહેવાલોને ટાંકીને એવો દાવો કરે છે કે ર૦૧૪થી ર૦૧૭ દરમિયાન ચાર મહત્ત્વના ક્ષેત્રો આઈટી, રિટેલ, ટેક્ષટાઈલ્સ અને ઓટોમોબાઈલ્સમાં ૧૪ મિલિયન નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવકતાએ આ વાત પણ કહી હતી કે પ્રવાસન ક્ષેત્રમાં વાર્ષિક ૧૬ ટકાનો વિકાસ થઈ રહ્યો છે જે દર વર્ષે ત્રણથી ચાર મિલિયન નોકરીઓ આપે છે. જ્યારે આ દાવાઓની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે સરકારના દાવાઓ સદંતર ખોટા છે. સરકારે જે ૧૪ મિલિયન નોકરીઓ સર્જવાનો દાવો કર્યો છે તે ખરેખર તો નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ર૦૧પમાં આપવામાં આવેલો ફકત એક અંદાજ હતો કે ૧૪ મિલિયન નોકરીઓનું સર્જન થઈ શકે છે. આ ફકત એક ધારણા હતી. વાસ્તવિકતા નહીં અને આ ધારણા માટે પણ કોઈ આધારભૂત પુરાવાઓ આપવામાં આવ્યા ન હતા અને સરકારે પ્રવચન ક્ષેત્ર માટે જે દાવો કર્યો છે તેની વાસ્તવિકતા છે કે ભારતમાં આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે ૧૬ ટકાના દરે વધી રહી છે. પરંતુ પ્રવાસન ઉદ્યોગના વિકાસનો દર ફકત ૭ ટકા છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના આંકડા મુજબ ર૦૧૭માં ફકત પાંચ લાખ નોકરીઓનું સર્જન થયું હતું નહીં કે ત્રીસથી ચાલીસ લાખ નોકરીઓ જે મંત્રીઓનો દાવો હતો. નોંધનીય બાબત તો એ છે કે ખોટા સમાચારોનું લોકો ખોટું અર્થઘટન પણ કરે છે. આપણા વડાપ્રધાન અને નાણાંપ્રધાન બન્ને કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં થયેલા વધારાને નોકરીઓમાં થયેલી વૃદ્ધિ સ્વરૂપે દર્શાવે છે. તેમની દલીલ છે કે સંગઠિત ક્ષેત્રમાં વર્ષ ર૦૧૭-૧૮માં સાત મિલિયન નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું છે. જે અતિ ગંભીર દાવો છે. શું પ્રોવિડન્ટ ફંડ ખાતામાં થયેલા વધારાનો અર્થ નોકરીઓનું સર્જન છે ? ના, વાસ્તવિકતા એ છે કે, નોટબંધી અને જીએસટી પછી નોકરી ક્ષેત્રમાં મોટાપાયા પર ઔપચારિકકરણ થયું છે અને આ કારણે પ્રોવિડન્ટ ફંડ ખાતાઓની સંખ્યા વધી રહી છે અને આ જ નોટબંધી અને જીએસટીના કારણે અસંગઠિત ક્ષેત્રોમાં નોકરીઓનું મોટી સંખ્યામાં ધોવાણ થયું છે. સરકારના કાલ્પનિક આંકડાઓને ભૂલીને જો વાસ્તવિકતામાં નિરીક્ષણ કરીએ તો દેશમાં નોકરીઓની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમિ પ્રમાણે ફેબ્રુઆરી ર૦૧૮માં ૩૧ મિલિયન લોકો નોકરી ઈચ્છતા હતા પરંતુ તે નોકરી શોધી શકયા નહીં. આ આંકડો ઓકટોબર ર૦૧૬થી અત્યાર સુધી સૌથી વધારે છે. મોદી રાજના ચાર વર્ષોમાં નોકરીઓની પરિસ્થિતિ સુધરવાને બદલે બગડતી ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં જયપુરમાં સ્થિત રાજસ્થાન રાજ્ય સચિવાલયમાં ૧૮ પટાવાળાઓની ભરતી માટે જાહેરાત આપવામાં આવી. આ ૧૮ જગ્યાઓ માટે ૧ર, ૪પ૩ અરજીઓ આવી જેમાંથી ૧ર૯ અરજીઓ એન્જિનિયરોની હતી. સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને મેઈ ઈન ઈન્ડિયાના સમયગાળામાં આ એન્જિનિયરો એટલી હદે હતાશ છે કે તેઓ પટાવાળાની નોકરી કરવા તૈયાર થઈ ગયા. પરંતુ ભાજપ શાસનમાં દેશની કરૂણતા એ છે કે, સરકારી સંસ્થાઓમાં ઘણી નોકરીઓ ખાલી છે પરંતુ ભાજપ સરકાર આ ખાલી જગ્યાઓ ભરવામાં રસ નથી દાખવતી. આ કારણે કેન્દ્રીય યુનિ.ઓમાં પ૦ ટકા પદો ખાલી છે. આઈઆઈટીમાં દર ત્રણ ફેકલ્ટીમાંથી એક પદ ખાલી છે. આઈપીએસ અધિકારીઓ માટે મંજૂર કરવામાં આવેલા ર૦ ટકા પદો ખાલી છે. એરફોર્સમાં દર આઠમાંથી એક પાઈલોટની જગ્યા ખાલી છે.