વુહાન, તા. ૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિંગપિંગ સાથે અનૌપચારિક શિખર બેઠક યોજી હતી. આ શિખર બેઠક ખુબ જ શાંતિપૂર્ણ અને સાનુકુળ વાતાવરણમાં યોજાઈ હતી જેમાં જુદા જુદા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ વાતચીત ખુબ સફળ રહી છે. અનૌપચારિક શિખર બેઠક દરમિયાન પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત પણ થઇ હતી. મોદીએ કહ્યું હતું કે, શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવવામાં ભારત અને ચીન એક મોટી ભૂમિકા અદા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, બંને દેશોની વચ્ચેની વિચારધારા, એકસમાન અવસરો, સંપર્કો, લોકોના સપનાઓ અને સંકલ્પ વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે જરૂરી છે. મોદીએ શી જિંગપિંગને કહ્યું હતું કે, ભારતના લોકો આ બાબતને લઇને ગર્વ અનુભવ કરી રહ્યા છે કે તેઓ એવા પ્રથમ વડાપ્રધાન છે જેને તમે પાટનગરથી બહાર આવીને લેવા માટે આવ્યા છો. પ્રતિનિધિ સ્તરની વાતચીત દરમિયાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, જો ૨૦૧૯માં આવી જ બેઠકનું આયોજન ભારતમાં કરવામાં આવે તો તેમને વધારે ખુશી થશે. મોદીએ જિંગપિંગને ભારત આવીને ભાવિ અનૌપચારિક વાતચીત કરવા અપીલ કરી હતી. આવી બેઠકનું આયોજન કરવાની ભારતને તક મળે તેમ અમે ઇચ્છીએ છીએ. મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે, તેમના ઉપર દુનિયાની ૪૦ ટકા વસતી માટે કામ કરવાની જવાબદારી છે. આનો મતલબ એ થયો કે દુનિયાને ઘણી બધી મુશ્કેલીઓથી મુક્તિ અપાવવાની જવાબદારી છે. આના માટે સાથે કામ કરવાની મોટી તક છે. મોદીએ જિંગપિંગને એમ પણ કહ્યું હતું કે, ૨૦૦૦ વર્ષમાં ૧૬૦૦ વર્ષ સુધી ચીન અને ભારતે ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ માટે એન્જિનનું કામ કરયું છે. આ ગાળા દરમિયાન જિંગપિંગે મોદીને કહ્યું હતું કે, વૈશ્વિક વિકાસ, શાંતિ અને બંને દેશોને વધારે સંકલન જાળવીને આગળ વધવાની જરૂર છે. આવી અનૌપચારિક બેઠકોનો દોર આગળ પણ જારી રાખવામાં આવશે. ચીને વુહાનમાં મોદી અને જિંગપિંગ વચ્ચેની વાતચીત ખુબ સફળ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને નેા ઘણા સમય સુધી હાથ મિલાવતા વાતચીત કરતા દેખાયા હતા. ત્યારબાદ બંને નેતાઓએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે સરહદી શાંતિ માટે આ વાતચી ઉપયોગી હતી. તે પહેલા ચીન પહોંચ્યા બાદ મોદીનું પારંપરિકરીતે ભવ્યરીતે સ્વાગત કરાયું હતું. ભૂટાન અને સિક્કિમ વચ્ચે સ્થિત ડોકલામમાં ચીન અને ભારતની સેનાઓ વચ્ચે ૭૦ દિવસ સુધી તંગદિલીપૂર્ણ સ્થિતિ રહ્યા બાદ વિખવાદનો અંત આવ્યો હતો. આ વિખવાદ બાદ પ્રથમ વખત બંને નેતાઓ એકબીજાને મળ્યા છે. બે દિવસના ગાળા દરમિયાન મોદી ૨૪ કલાકમાં છ વખત જિંગપિંગ સાથે વાતચીત કરનાર છે. ચીની મિડિયા પણ મોદીની આ યાત્રાને ઐતિહાસિક ગણે છે. ચીની નેતાની મોદીએ ભરપુર પ્રશંસા કરી હતી. બંને દેશો વચ્ચે ડોકલામમાં વિખવાદ બાદ આ પ્રથમ બેઠક હતી.