ગુલબર્ગા, તા.૩
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતાની સાથે જ ભાજપે પોતાનું એડીચોટીનું જોર લગાવી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ગુલબર્ગામાં એક રેલીને સંબોધન કર્યું. રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં કર્ણાટકમાં ભારે તબાહી થઇ છે પરંતુ હવે તેઓ આ રાજ્યને બરબાદ થવા દેશે નહીં. નવયુવકોને નવો રસ્તો બતાવામાં આવશે જ્યારે મહિલાઓના સન્માન પર ભાર મૂકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે છેલ્લા ૭૦ વર્ષમાં દેશના ઇતિહાસને મરોડવામાં આવ્યો છે. કોંગ્રેસ શહીદો અને વીરોનું અપમાન કરતી આવી છે તેનું ઉદાહરણ જનરલ થિમૈયા હતા. નહેરૂના અપમાન કર્યા પછી જનરલ થિમૈયાએ રાજીનામું આપ્યું હતું. પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતા આકરા પ્રહાર કર્યા હતા. પીએમ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વંદે માતરમનું અપમાન કરે છે. કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવે છે. કોંગ્રેસે સરકાર પાસે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગ્યા. કોંગ્રેસે વર્તમાન સેના પ્રમુખને ગુંડા કહ્યાં. પીએમ મોદીએ કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં યોજવામાં આવેલી કેન્ડલ માર્ચને લઇને કહ્યું કે ત્યારે તેઓ ક્યાં ગયા હતા જ્યારે એક દલિત દીકરીની સાથે બીદરમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત ચૂંટણી દરમિયાન કોંગ્રેસે વચન આપ્યું હતું કે તેઓ મલ્લિકાર્જૂન ખડગેને મુખ્યમંત્રી બનાવશે પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.
કોંગ્રેસે દલિતોને ભ્રમિત કર્યા. કોંગ્રેસ આ રીતે રાજકારણ રમે છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ૧૨ મેના રોજ યોજાશે અને ૧૫ મેના રોજ પરિણામ જાહેર થશે. રાજ્યમાં હાલ કોંગ્રેસની સરકાર છે જેમાં સિદ્ધારમૈયા મુખ્યમંત્રી છે.