અમદાવાદ, તા.૧પ
અમદાવાદમાં રામોલ વિસ્તારમાં લગ્ન સમયે કન્યા અને વરરાજાને ફોટા પડાવવા જેવી નજીવી બાબતને લીધે લગ્ન સ્થળે મારામારી થઈ હતી. જે બાદ કન્યાએ ફરિયાદ કરતાં પોલીસે આરોપી પિતા અને પુત્રની ધરપકડ કરી રામોલ પોલીસે કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. જો કે આ બનાવને લીધે સમગ્ર રામોલ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટના અંગેની વિગતો એવી છે કે શુક્રવારે રાત્રે આ ઘટના અમદાવાદના અમરાઇવાડીમાં આવેલા કુશાભાઉ ઠાકરે હોલમાં બની હતી. કન્યાએ એફઆઈઆરમાં પોલીસને જણાવ્યું હતું કે તે કોલેજ અભ્યાસ કરે છે. જ્યારે યુવક એલએલએમનો વિદ્યાર્થી હતો. ૧૧ મેના રોજ તેમના લગ્ન થવાના હતાં. વરરાજા સંજયે પોલીસને જણાવ્યું હતું કે, મહેમાનોએ જમી લીધું હતું ત્યારે દુલ્હન ફોટોશૂટ કરાવી રહી હતી. આ દરમિયાન વરરાજા રૂમમાં પ્રવેશ્યો હતો. દુલ્હન સાથે ફોટા પડાવવાના બહાને દુલ્હનને અણછાજતી રીતે શરીરને ટચ કરવા લાગ્યો હતો. આથી યુવતી ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ હતી. તેણે સંજયને વિધિ પૂરી થાય ત્યાં સુધી સાથે ફોટા નહીં લેવાય, તેમ કહી દીધું હતું. આથી ગુસ્સે ભરાયેલા વરરાજા સંજયે દુલ્હનને ધક્કો મારી પોતે રૂમની બહાર નીકળી ગયો હતો. અને તે દુલ્હનના પરિવારજનો પર રોષ ઉતારવા લાગ્યો હતો. એટલું જ નહિં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આથી દુલ્હનના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
આ મામલે વરરાજાના પિતાએ દરમિયાનગીરી કરી પુત્રનો સાથ આપ્યો હતો. તે પછી દુલ્હનના સંબંધીઓ પણ ઉગ્ર થઈ ગયા હતા. દુલ્હનના કાકા ધુધરસિંહ ચૌહાણ સહિતના અન્ય લોકોએ દરમિયાનગીરી કરી દુલ્હનના પિતાને બચાવી લીધા હતા.
અમદાવાદના અમરાઇવાડીમાં રહેતા સમાજ સેવકે જણાવ્યું હતું કે, સમસ્યાનું સમાધાન કરવા માટે અમે પ્રયત્નો કર્યા હતા પરંતુ દુલ્હન અને તેના પિતા મક્કમ હતા અને તેઓ લગ્ન વિધિ પતાવ્યા વિના જ જતા રહ્યા હતાં.
દુલ્હને જણાવ્યું હતું કે, સંજયે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. મોટરસાઇકલ, દહેજ જે જોઈતું હતું તે આપ્યું છતાં તેમણે મારા પરિજનોને શરમજનક સ્થિતિમાં મુકી દીધા હતા. જે લોકો વિમેન્સની રિસ્પેક્ટ ન કરી શકે તેમને જાહેરમાં લટકાવી દેવા જોઇએ.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી હતી. કન્યાએ વરરાજા અને તેના પરિવાર પર દહેજમાં રોકડ રકમ અને મોટરસાઈકલ લીધી હોવાનો આરોપ લગાવ્યો છે. જેથી રામોલ પોલસે ઘર બંધ કરીને નાસી ગયેલા પિતા અને પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. જો કે ધરપકડ કરાયેલા વરરાજા અને તેનાં પિતાએ યુવતીએ કરેલા આક્ષેપોને નકાર્યા હતા. વરરાજાના પિતાનું કહેવું છે કે યુવતીના ભાઈએ લગ્ન સમયે દાગીનાં જોવા માટે માગ્યા હતા. ત્યારબાદ ઓછા દાગીના આપ્યા હોવાનું કહીને યુવતીના ભાઈએ વરરાજાના પિતા સાથે માથાકૂટ કરી હતી તેમ તેમણે જણાવ્યું હતું.