અમદાવાદ,તા.ર૩
ભારત સરકારના ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદનાં કાંકરિયા ખાતે આવેલા ખાણીપીણીના વેપારીઓને ચોખ્ખાઈ, સ્વચ્છતા અને ગુણવત્તાના આધારે કલીન સ્ટ્રીટ ફુડ હબનું બિરૂદ આપવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટથી કાંકરિયા સ્ટ્રીટમાં પીરસવામાં આવતો ખોરાક માત્ર સ્થાનિક કે દેશના પ્રવાસીઓને નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ શુધ્ધ, સલામત અને ગુણવત્તાસભર ખોરાક મળશે. ભારત સરકારના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા દરેક રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરને તેઓના રાજ્યમાં આવેલ સ્ટ્રીટ ફૂડ કે જ્યાં ૨૦ થી વધારે વેપારીઓ ખાણીપીણીનો વ્યવસાયકરતાં હોય તેવા સ્ટ્રીટને અલગ તારવી તથા ચોખ્ખાઇ, સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પાલન થતું હોય, તેવી ફૂડ સ્ટ્રીટને ‘‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’’ તરીકે નોમીનેટ કરવી અને જે થર્ડ પાર્ટી ઓડીટર દ્વારા સ્વચ્છતા, ચોખ્ખાઇ અને ગુણવત્તાના માપદંડોમાં પાર ઉતરશે તેવી સ્ટ્રીટને ‘‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’’નો દરજ્જો આપવામાં આવે છે જેના ભાગરૂપે રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના સંયુ્કત પ્રયાસથી કાંકરીયા સ્ટ્રીટને પસંદ કરવામાં આવી છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે. તેમણે ઉમેર્યુ કે, કાંકરીયા સ્ટ્રીટમાં આવેલા ૬૬ ખાણીપીણી વેચનાર વેપારીઓને ફૂડ સેફ્ટી અને બેઝીક કલીનલીનેશ તથા હાઇઝીન અંગે ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી હતી અને તેઓ દ્વારા પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને કાચામાલની ગુણવત્તા બાબતે પણ ફૂડ સેફ્ટી દ્વારા ધોરણો મુજબ ગુણવત્તા જળવાય તે અંગે અને તેઓ દ્વારા રસોઇ બનાવવા માટે તથા પીવા માટે વપરાતા પાણીની ગુણવત્તા પર નિયંત્રણ કરવામાં આવેલ તથા તેઓ દ્વારા રસોઇ બનાવવા, પીરસવા માટે તથા ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાસણોની ચોખ્ખાઇ માટે પણ સધન તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ ભારત સરકાર દ્વારા માન્ય તેવા ઓડીટરો (ડ્ઢદ્ગફય્ન્) ટીમ દ્વારા કાંકરીયા સ્ટ્રીટનું ઓડીટ કરવામાં આવ્યું અને ઓડીટના અંતે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણમાં કાંકરીયા ફૂડ સ્ટ્રીટના તમામ ૬૬ વેપારીઓ વાતાવરણ, સ્વચ્છતા-ચોખ્ખાઇ, ગુણવત્તા તથા બાંધકામ વગેરે બાબતમાં ધારાધોરણ મુજબ જણાઇ આવતા આ બિરુદ મળ્યુ છે.