મોરબી, તા.૧પ
મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો સાથે થયુ એવું કે ધરતીપુત્રોને પોતાની મગફળી સાથે પરત ફરવુ પડયુું સરકારે મસમોટી જાહેરાતો કરી એક હજાર રૂપિયા પ્રતિમણના ભાવે મગફળી ખરીદવા ઢંઢેરો પીટ્યા બાદ આજથી શરૂ થયેલ ખરીદીમાં સરકારના પ્રતિનિધિઓ દ્વારા મગફળી માટે ઉચ્ચ ક્વોલિટી અને સેમ્પલ માટે મગફળીના ઢગલા કરવા હઠાગ્રહ સેવતા ખેડૂતો મગફળી વેચ્યા વગર જ પરત ફરી જતા હોબાળો મચી જવા પામ્યો છે. ગતવર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યા બાદ આ વર્ષે સરકારે પુરવઠા નિગમ મારફતે ખેડૂતો પાસેથી પ્રતિમણ ૧૦૦૦ રૂપિયાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી અને આજથી મોરબી યાર્ડમાં ખરીદી શરૂ કરી દૂધના દાજ્યા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેમ ખેડૂતોની મગફળી ઉચ્ચ ક્વોલિટીની હોય ૬૫થી ૭૦નો ઉતારો હોય અને કાંકરા કે કચરો ન હોય તો જ ખરીદવાના નિયમો લાગુ કરી ખેડૂતો ગુણી ભરીને લાવેલ મગફળી મેદાનમાં ઢગલા કરે તો જ ખરીદવાનો ફરજીયાત નિયમ કરતા ખેડૂતોમાં દેકારો બોલી ગયો હતો વધુમાં ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવે ખરીદીના જડ નિયમોમાં મગફળીની ખુલ્લા મેદાનમાં ઢગલા કરવાના આગ્રહ સામે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ટ્રેકટરમાંથી સેમ્પલ લેવામાં આવે તેનો કોઈ વિરોધ નથી પરંતુ ઢગલા કર્યા બાદ ખેડૂતોને કહેવામાં આવે કે આ મગફળી ખરીદી શકાય નહિ તો માલ ઠાલવવાનો અને પાછો ભરવાની મજૂરી કોણ ચૂકવે ? અને આવો હઠાગ્રહ શા માટે રાખવામાં આવી રહ્યો છે તેમ જણાવી ટેકાના ભાવે હવે મગફળી વેચવાને બદલે ખેડૂતો યાર્ડ છોડી ચાલ્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ મોંટામાથાઓ મગફળી કૌભાંડ આચરીને જતા રહ્યા અને હવે સરકાર ખેડૂતોને હેરાન પરેશાન કરવા જ આવા કાવાદાવા કરી નહિવત માત્રામાં ખેડૂતોની મગફળી ખરીદવાની મસમોટી જાહેરાત કરી ખેડૂતોને પરેશાન કરવાનું શરૂ કરતા આશ્ચર્ય સર્જાયું છે.