(એજન્સી) કોલંબો, તા. ૧૫
શ્રીલંકાની સંસદમાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ નીવડેલા વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ દેશની વર્તમાન રાજકીય કટોકટી ઉકેલવા માટે નવેસરથી ચૂંટણીઓ યોજવાની માગણી કર્યા બાદ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને રાજપક્ષેને વફાદાર અને ઉશ્કેરાયેલા સાંસદોએ ગુરૂવારે સંસદમાં સ્પીકરને તેમની ખુરશીમાં જ ઘેરી લેતા ગૃહમાં હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. શ્રીલંકામાં નવેસરથી ચૂંટણીઓ યોજવાની માગણી કરી રહેલા રાજપક્ષે દ્વારા કરવામાં આવેલા એક નિવેદન પર મતદાન યોજવાની પદભ્રષ્ટ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની યુનાઇટેડ નેશનલ પાર્ટી તરફથી કરવામાં આવેલી એેેક વિનંતી પર ગૃહના સ્પીકર કરૂ જયસૂર્યા રાજી થઇ જતા ગૃહમાં હોબાળો સર્જાયો હતો. જયસૂર્યાએ રાજપક્ષેને સંસદ સભ્ય તરીકે ઉપરોક્ત નિવેદન આપવાની મંજૂરી આપતા કહ્યું હતું કે તેઓ શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (એસએલએફપી)ના નેતાના દાવાને માન્ય રાખતા નથી. એસએલએફપીના નેતાએ બુધવારે વિશ્વાસનો મત ગુમાવી દીધો હતો. રાજપક્ષેએ જણાવ્યું હતું કે હું રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન રહી ચુક્યો છું, તેથી આ વડાપ્રધાનપદ તેમના માટે મહત્વનું નથી.
શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ ગુરુવારે દાવો કર્યો છે કે, સ્પીકર પાસે ઘ્વનિમતથી તેમને પદ પરથી હટાવવાનો કોઈ અધિકાર નથી. આ વાત રાજપક્ષેએ તેમના વિરુદ્ધ મંગળવારે પાસ થયેવા અવિશ્વાસના પ્રસ્તાવ વિશે કહી છે. ત્યારપછી શ્રીલંકાની સંસદમાં સાંસદો વચ્ચે મારા-મારી થઈ ગઈ હતી.
શ્રીલંકાની સંસદ ગુરુવારે ફરી બોલાવવામાં આવી હતી. તે દરમિયાન સ્પીકર કારુ જયસૂર્યાએ જણાવ્યું કે, દેશમાં કોઈ સરકાર નથી. હાલ અહીં કોઈ વડાપ્રધાન નથી. પછી ભલે કે રાષ્ટ્રપતિ તરફથી નિમણૂક કરેલા રાજપક્ષે તરફથી હોય કે, તેમના પ્રતિ સ્પર્ધી વિક્રમ સિંઘે.
વિરોધીઓએ રાજપક્ષેના નિવેદન પર વોટ કરવાની માંગણી કરી તો અમુક સંસદોએ વેલીમાં આવીને નારેબાજી કરવાની શરૂઆત કરી દીધી. ત્યારપછી ૩૫-૩૬ સાંસદો વચ્ચે મારા-મારી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન અમુક સાંસદોને ઈજા પણ આવી હતી.