(એજન્સી) નવી દિલ્હી, તા.૪
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આપણે બે પાડોશી દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાનથી ઘેરાયેલ છીએ. આપણે ઈતિહાસ બદલી શકીએ પણ ભૂગોળ બદલી નહીં શકીએ. આપણે ત્રાસવાદી પ્રવૃત્તિઓના લીધે પાકિસ્તાન સામે અવાજ ઉઠાવી પગલાં લઈએ છીએ. ત્રાસવાદીઓને પાકિસ્તાન છાવરે છે અને પાકિસ્તાનને ચીન છાવરે છે. એમણે કહ્યું કે, ચીન અંદમાન અને નિકોબારમાં શિપો મોકલી રહ્યું છે. એમણે આપણો પ૦-૬૦ કિલોમીટર વિસ્તાર પચાવી પાડ્યો છે. હું કહેવા માંગું છું કે, જો આપણે પાકિસ્તાનને જવાબ આપવા મજબૂત છીએ તો ચીનને આ મુજબ જવાબ કેમ નથી આપી શકતા. શું આપણે ચીનથી ભય અનુભવીએ છીએ. અધીર રંજનના નિવેદનનો જવાબ આપતાં રક્ષામંત્રી રાજનાથસિંઘે કહ્યુું ચીન સેના દ્વારા પણ આપણી સીમાઓમાં ઘૂસણખોરી થાય છે. આપણે આપણા જવાનો એ સ્થળે પહોંચી એમને ખદેડી દે છે. એમણે કહ્યું કે, સીમાઓ બાબત આપણા ચીન સાથે વૈચારિક ભેદ છે પણ આપણું સૈન્ય સાવચેત છે. આપણી ચીન સાથેની સીમાઓ સુરક્ષિત છે. એમણે કહ્યું કે, બન્ને દેશના દળો એટલા પરિપકવ થઈ ગયા છે કે નાના વિવાદો પોતે સમજૂતીથી ઉકેલી લે છે. અંદમાન વિસ્તારમાં હાલમાં જ ચીનની એક શીપ દેખાતા ચૌધરી રંજને પ્રશ્ન કર્યો હતો.