(એજન્સી)
પ્રતાપગઢ, તા.૧ર
જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થતાં શાયર અને કોંગ્રેસી નેતા ઈમરાન પ્રતાપગઢીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કહી રહ્યા છે કે, હું વડાપ્રધાન મોદી અને તેમની સરકારને કહેવા ઈચ્છું છું કે, કોંગ્રેસ પાર્ટીનો એક-એક સાંસદ અને કાર્યકર્તા ક્યારેય ઝુકશે નહીં, અમારૂં ગળું કપાઈ જશે તો પણ અમે ઝુકીશું નહીં. ત્યારબાદ ઈમરાને કહ્યું, ‘કહાં તું બાત કર રહા થા ખેલને કી આગસે, જરા સી આંચ ક્યા લગી કિ, મોમ સા પિઘલ ગયા.’ ઈમરાન પ્રતાપગઢીએ સિંધિયાનો ભાજપમાં સામેલ થવાનો વીડિયો શેર કરતા પોતાના અંદાજમાં ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘જો કહા વો નહીં કિયા તુમને, વો કિયા જો નહીં કહા તુમને ! ઈસસે પહેલે કોઈ દિયા જલતા, આંધિયો કો બુલા લિયા તુમને !’ ત્યારબાદ ઈમરાને કહ્યું કે, ‘રાજા હવે વજીર બની જશે.’
ઉલ્લેખનીય છે કે, ગત ૧૮ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં રહેલા મધ્યપ્રદેશ રાજઘરાનાના રાજકુમાર જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં સામેલ થઈ ચૂક્યા છે.