Site icon Gujarat Today

જામનગર મનપાની બે નગરસેવિકા આખી રાત ધરણા પર બેસી રહી

જામનગર, તા.૨
જામનગર કોર્પોરેશનના ઇતિહાસમાં એક નવો ઇતિહાસ રચાયો છે, ગઇકાલે બપોર બાદ બે નગરસેવીકાઓએ ૮૦ ફુટ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા હટાવાયેલી રેંકડીના પ્રશ્ને મ્યુ. કમિશનર સમક્ષ જોરદાર રજૂઆત કર્યા બાદ આ પ્રશ્નનો ઉકેલ ન આવતા કમિશનર કચેરીની પાસે જ ધરણાં ઉપર બેસી ગયા હતા, સમજાવટ છતા કોર્પોરેટર રચના નંદાણીયા તથા જેનબબેન ખફી મ્યુ. કમિશનરની કચેરી પર આખી રાત ધરણાં કર્યા હતા, આ બનાવ બનતા જ કોર્પોરેશનમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ છે, બીજી તરફ મ્યુ. કમિશનર સતિષ પટેલે જણાવ્યુ હતું કે, આ વિસ્તારમાં રહેલી રેંકડી, કેબીન મહાપાલીકાની માલિકીની જમીનમાં હતી, નિયમ મુજબ હટાવવામાં આવી છે, કોર્પોરેટર રચના નંદાણીયા અને જેનબ ખફીએ જણાવ્યુ હતું કે, જયાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમો આંદોલન કરીશું.
આ અંગેની વિગત એવી છે કે ૮૦ ફૂટ રીંગ રોડ ઉપર આશરે ૨૨ વર્ષ પહેલા ખોડિયાર કોલોની વિસ્તારમાં ૨૦ કેબીન અને ૧૦ જેટલી રેંકડી ઊભી રહે છે, એ વખતે રેંકડી, કેબીન ધારકો હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટના જજની કમિટીએ જામનગર શહેરમાં ૧૩ સ્થળોએ રેંકડી-કેબીન રાખવા જણાવ્યું હતું, તેમાં આ સ્થળનો પણ સમાવેશ થાય છે. થોડા સમય પહેલા મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ તમામ ૩૦ રેંકડી-કેબીનો મહાપાલિકાની જગ્યામાંથી હટાવવામાં આવી હતી ત્યારબાદ આ વિસ્તારના કોર્પોરેટર મેરામણ ભાટુએ મ્યુ. કમિશનગર સમક્ષ લેખિત રજૂઆત કરીને આ લોકોને ન્યાય આપવા માગણી કરી હતી.
કોર્પોરેટર રચના નંદાણીયા અને જેનબ ખફીએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ જગ્યા ઉપર રેંકડી-કેબીનધારકો ગુજરાન ચલાવે છે, મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે, આ જગ્યા કોર્પોરેશનની માલિકીની છે અને તેનું વેચાણ કરવાનું છે.
ગઇકાલે સાંજે ૪ વાગ્યાથી કમિશનર કચેરીની બહાર આ બંને નગરસેવીકાઓએ રેંકડી-કેબીન ધારકો રમેશભાઇ કુબેર, જગદીશભાઇ જેઠવા, મનસુખભાઇ રાઠોડ, જેન્તીભાઇ તથા ઇમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ધરણાં શરૂ કર્યા હતા.

Exit mobile version