Site icon Gujarat Today

વડોદરાના ઝહીરઅહેમદખાનનો ભારતના ૧૦૦ વિદ્વાનોમાં સમાવેશ

વડોદરા, તા.રર
સ્ટેટીસ્ટીક્સ વિષય પર ભારતીય વિદ્વાનોના નિવેદનોને એકત્રિક કરીને પ્રથમ વખત યુ-ટ્યુબ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ભારતના ૧૦૦ વિદ્વાનોના નિવેદનોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં અલીગઢ મુસ્લિમ યુનિ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઝહીરઅહેમદખાન સામેલ છે. ઝહીરઅહેમદખાન સામાજિક સંશોધનકર્તા છે. તેઓએ અલીગઢ મુસ્લિમ યુનિ.માંથી ૧૯૯રમાં (Operation research )માં એમ.એસ.સી. કર્યું છે. તેમજ ૧૯૯૪માં (Operation research) એમ.ફીલ. કર્યું છે. તેઓ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેIIPS AND MOHFW ભારત સરકારના ટેકનિકલ સલાહકાર પણ રહી ચૂકયા છે. ઝહીરઅહેમદખાન વડોદરા ગુજરાતના નિવાસી છે. ભારતના ૧૦૦ વિદ્વાનોના વકતવ્યોમાં તેમનું વકતવ્ય સામેલ છે જે વડોદરા અને ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે. આ પ્રોજેક્ટમાં અલીગઢ મુસ્લિમ યુનિ.ના કુલપતિ પ્રોફેસર તારીક મંસૂર, પ્રોફેસર કાઝી મઝહરઅલી, પ્રોફેસર અકીલઅહેમદ, પ્રોફેસર યુસુફ ઉજ જમાખાન, પ્રોફેસર અથહરઅલીખાન, ડૉ.ઈરફાનઅલી પણ સામેલ છે. આ પ્રોજેક્ટનું ગૂગલમીટ દ્વારા ઉદ્દઘાટન કરતી વખતે ઈનફિલિબનેટના નિર્દેશક પ્રોફેસર જે.પી.સિંહ જુરેલે કહ્યું કે, આ નિવેદનોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નિવેદન પણ સામેલ છે. આ પ્રોજેક્ટના આયોજનમાં આઈસીએઆરના ઉપમહાનિર્દેશક ડૉ.આર.સી.અગ્રવાલ પણ સામેલ છે. પ્રો.કાઝી મઝહરઅલીએ કહ્યું કે આપણે સામાન્ય રીતે કોઈપણ વિષય પર વિદેશી વિદ્વાનોના નિવેદનો શોધવામાં આવે છે અથવા તેના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવે છે પરંતુ શું ભારતીય વિદ્વાનોના નિવેદનો આટલા યોગ્ય નથી કે તેના પર ધ્યાન ન અપાય ? તેમણે કહ્યું કે, આ ક્ષતિને દૂર કરવા માટે આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે. પ્રથમ ચરણમાં સ્ટેટીસ્ટીક્સ વિષય પરના વિદ્વાનોના નિવેદનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પ્રોફેસર રવિ કે.મહાજન તથા પ્રોફેસર કલ્પના મહાજન (પંજાબ યુનિ.)એ આ સંકલનમાં ખૂબ જ મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે કાઝી એમ.અફઝલ (એ.એમ.યુ.), પ્રોફેસર રાહુલ ગુપ્તા (જમ્મુ યુનિ.) તથા પ્રોફેસર મનોજ સકસેના (હિમાચલપ્રદેશ સેન્ટ્રલ યુનિ.)ના સહયોગથી આ માહિતી તૈયાર કરવામાં આવી છે. આ સંકલનને વહેલી તકે ઈ-બુકના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સંકલનમાં પ્રો.અનિલ ગૌડ, પ્રો.જે.વી.દેશપાંડે સહિત કેટલાક વર્તમાન અને ભૂતપૂર્વ કુલપતિ, ઈન્જિનિયર, ડૉક્ટર્સ, આર્કિટેકટ્‌સ અને યોગા પ્રશિક્ષકોના નિવેદનોને સમાવેશ કરવામાં આવ્યા છે.

Exit mobile version