Ahmedabad

રાજ્યમાં કોરોના કહેર જારી : નવા પ૭૭ કેસની સાથે વધુ ૧૮નાં મૃત્યુ !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૫
રાજ્યભરમાં કોરોના વાયરસનો વ્યાપ વધી જવા સાથે સંક્રમણના કેસો પણ ઉછાળારૂપ બહાર આવી રહ્યા છે ત્યારે તેને લઈને ચિંતા વધવા પામી છે. અનલોક-૧ની છૂટછાટમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. જેથી આગામી સમયમાં પ્રતિબંધાત્મક કડક પગલા લેવાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. રોજે-રોજ ૫૫૦થી વધુ કેસો આવી રહ્યા છે જેમાં આજે વધુ નવા ૫૭૭ વિસ્ફોટક કેસ બહાર આવેલ છે. જો કે, છેલ્લા ઘણા સમય બાદ રાજ્યમાં આજે કોરોનામાં મૃત્યુનો આંક થોડો ઓછો થવા પામ્યો છે. ર૪ કલાકમાં રાજ્યમાં ૧૮ વ્યક્તિઓના દુઃખદ અવસાન થવા પામેલ છે જ્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં વધારો જારી રહેતા ર૪ કલાકમાં વધુ ૪૧૦ દર્દીઓ સાજા થવામાં સફળ રહેલ છે. રાજ્યમાં કોરોનાના વધી રહેલ સંક્રમણ વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં વધુ નવા ૫૭૭ કેસ બહાર આવવા પામ્યા છે. જેમાં આજે પણ કોરોના હબ એવા અમદાવાદ જિલ્લામાં કેસોમાં થોડો ઘટાડો જારી રહ્યો છે. અમદાવાદમાં નવા ર૩૮ કેસ બહાર આવેલ છે તેની સામે સુરત જિલ્લામાં કેસોમાં ઉછાળો જારી રહેતા આજે ૧૬૪ નવા કેસ નોંધાવવા પામેલ છે. તે પછી વડોદરામાં ૪૪ કેસ, ગાંધીનગરમાં ૧પ, જામનગર-રાજકોટમાં ૧૪-૧૪ કેસ તથા નર્મદામાં ૧૧, ભરૂચમાં ૯, વલસાડમાં ૮, આણંદમાં ૭, પંચમહાલ-ખેડામાં ૬-૬ કેસ તેમજ કચ્છ-નવસારી-ભાવનગરમાં ૫-૫ કેસ અને જૂનાગઢ-મહેસાણા-ગીર સોમનાથમાં ૪-૪ કેસ, અમરેલીમાં ૩, અરવલ્લી-સાબરકાંઠા-પાટણ-સુરેન્દ્રનગરમાં ર-ર કેસ તથા અન્ય ૪ જિલ્લામાં ૧-૧ કેસ નોંધાવવા સાથે રાજ્યના કુલ ર૭ જિલ્લામા ૫૭૭ કેસ નોંધાવવા પામેલ છે. જેને પગલે રાજ્યભરમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક ૨૯૫૭૮ પર પહોંચ્યો છે જ્યારે કોરોના હબ એવા અમદાવાદમાં કોરોનાના કુલ કેસ ૧૯૮૩૯ થવા પામેલ છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધવા સાથે મૃત્યુ પણ વધુ થઈ રહ્યા છે ત્યારે આજે મૃત્યુના આંકમાં થોડો ઘટાડો જોવા મળતા રાહત થઈ છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૮ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ૧રનાં મોત થયેલ છે. તો સુરતમાં ૩ તથા ગાંધીનગરમાં ર તેમજ સુરેન્દ્રનરગમાં ૧ વ્યક્તિનું મૃત્યુ નિપજેલ છે. આ સાથે રાજ્યમાં કોરોનાને લીધે અત્યારસુધીમાં કુલ ૧૭પ૪ વ્યક્તિઓ મોતને ભેટી છે જ્યારે અમદાવાદમાં આજના વધુ મોત સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૩૭૫ થવા પામ્યો છે.
રાજ્યમાં કોરોનાના વધતા કેસો સામે થોડીક રાહત આપનારી બાબત એ છે કે, રાજ્યમાં કોરોનામાંથી સાજા થનારાનો આંક સારો એવો વધી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ૪૧૦ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ર૧૬ દર્દી, સુરતમાં ૪૬, વડોદરામાં પર, ગાંધીનગરમાં ૩૬, ભરૂચમાં ૧૧, જામનગરમાં ૭, આણંદ-રાજકોટમાં ૮-૮ દર્દી તથા બનાસકાંઠા-સાબરકાંઠામાં ૪-૪ દર્દી, ખેડા-જૂનાગઢ-સુરેન્દ્રનગરમાં ૩-૩ દર્દી તેમજ નર્મદા-અમરેલીમાં ર-ર દર્દી અને ભાવનગર-મોરબીમાં ૧-૧ દર્દી સાજા થવા પામેલ છે.
આ સાથે રાજયભરમાં અત્યાર સુધીમાં કુલ ર૧પ૦૬ લોકો કોરોનામુકત થવામાં સફળ રહેલ છે.
રાજયમાં નોંધાયેલ કુલ કોરોના પોઝિટિવ કેસ પૈકી હાલમાં ૬૩૧૮ એકિટવ કેસ છે અને તેમાંથી ૬૬ દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ છે. જયારે અન્ય ૬રપર દર્દીની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ રાજયમાં હજુ પણ રોજેરોજ બહુ ઓછા એવા ૪૦૦૦થી ૪પ૦૦ કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા હોવાની વાત આજે ના.મુખ્યમંત્રીએ કરી છે. ત્યારે આજ સુધીમાં રાજયભરમાં કુલ ૩,૪પ,ર૭૮ ટેસ્ટ કરવામાં આવેલ છે. જયારે રાજયમાં આજની તારીખે કુલ ર.ર૯ લાખ લોકોને કવોરોન્ટાઈન કરવામાં આવેલ છે.

રાજ્યના છેલ્લા ર૪ કલાકના કોરોનાના કુલ કેસો

જિલ્લો/કોર્પોરેશન કેસ
અમદાવાદ કોર્પોરેશન ૨૨૫
સુરત કોર્પોરેશન ૧૫૨
વડોદરા કોર્પોરેશન ૪૪
અમદાવાદ ૧૩
સુરત ૧૨
જામનગર કોર્પોરેશન ૧૧
નર્મદા ૧૧
ગાંધીનગર ૧૦
રાજકોટ કોર્પોરેશન ૦૯
ભરૂચ ૦૯
વલસાડ ૦૮
આણંદ ૦૭
પંચમહાલ ૦૬
ખેડા ૦૬
ગાંધીનગર કોર્પોરેશન ૦૫
રાજકોટ ૦૫
કચ્છ ૦૫
નવસારી ૦૫
ભાવનગર કોર્પોરેશન ૦૪
જૂનાગઢ કોર્પોરેશન ૦૪
મહેસાણા ૦૪
ગીર-સોમનાથ ૦૪
જામનગર ૦૩
અમરેલી ૦૩
અરવલ્લી ૦૨
સાબરકાંઠા ૦૨
પાટણ ૦૨
સુરેન્દ્રનગર ૦૨
ભાવનગર ૦૧
બોટાદ ૦૧
દાહોદ ૦૧
મોરબી ૦૧
વડોદરા ૦૦
બનાસકાંઠા ૦૦
કુલ ૫૭૭

કોરોનાના સતત વધતા જતા કેસોને લઈ
કેન્દ્રીય ટીમ આજે ગુજરાત આવશે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૫
ગુજરાતમાં કોરોનાનો કહેર માજા મૂકી રહ્યો છે છેલ્લા પંદરેક દિવસથી તો રોજે-રોજ પ૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે તેમાંય અમદાવાદ અને હવે સુરત ખાતે કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલને નેતૃત્ત્વમાં કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવી રહી છે.
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી ૨૯ હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. તો રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં તો કોરોનાએ કબજો જમાવી લીધો છે. અહીં અત્યાર સુધી ૨૦ હજાર જેટલા કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે સુરતમાં પણ હાલ કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરીની સાથે એક નિષ્ણાંત ડોક્ટરની ટીમ આવતીકાલે સવારે ૬ઃ૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ અમદાવાદના કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાતે જશે. અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ અને સરકારની તૈયારી, હોસ્પિટલની સુવિધા સહિત અનેક મુદ્દાની તપાસ ટીમ દ્વારા કરવામાં આવશે. આ સાથે ડોક્ટરોને જરૂરી માર્ગદર્શન પણ પૂરૂં પાડવામાં આવશે.
કેન્દ્રની ટીમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા સોલા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે. આ સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં શહેરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રની ટીમ સાંજે ચાર કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજશે. આ બેઠક બાદ તેઓ કોરનાના સંક્રમણને રોકવા વધુ શું પગલા લઈ શકાય તે અંગે સરકારે માહિતગાર કરશે.