Site icon Gujarat Today

જો RGF રૂા. ૨૦ લાખ પાછા આપી દે તો શું PM દેશને બાંહેધરી આપશે કે ચીન આપણી જમીન ખાલી કરી દેશે ?ઃ પી ચિદમ્બરમ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ચીન સાથે લદ્દાખ મોરચે સર્જાયેલા તનાવ બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત ટકરાવ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીના નામ પર બનેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનના દૂતાવાસે ડોનેશન આપ્યુ હોવાના ભાજપના આક્ષેપો બાદ હવે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમે તેનો જવાબ આપ્યો છે. પી.ચિદમ્બરમે કહ્યુ હતુ કે, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા અર્ધસત્ય બોલવામાં હોશિયાર છે. માની લઈએ કે ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ૨૦ લાખ રૂપિયા ડોનેશન આપ્યુ હતુ અને તે પાછુ પણ આપી દઈએ તો શું પીએમ મોદી દેશને ખાતરી આપી શકે તેમ છે કે, ચીન ભારતની હડપ કરી ગયેલી જમીન ખાલી કરશે અને અગાઉની સ્થિતિ જાળવશે.
પી.ચિદમ્બરમે કહ્યુ હતુ કે, મારા સહયોગી રણદીપ સૂરજેવાલાએ જે પી નડ્ડાના અર્ધસત્યને ઉઘાડુ પાડ્યુ હતુ.રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ૧૫ વર્ષ પહેલા મળેલા ડોનેશનને ૨૦૨૦માં ચીનની ઘૂસણખોરી સાથે શું લેવા દેવા છે? જે પી નડ્ડાએ ભૂતકાળમાંથી બહાર આવીને વર્તમાનમાં જીવવુ જોઈએ.મહેરબાની કરીને ચીનની ઘૂસણખોરી અંગે કોંગ્રેસના સવાલોનો જવાબ આપો. આ પહેલા કોંગ્રેસ પ્રવકતા સૂરજેવાલાએ ભાજપના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતુ કે, ચીનના દૂતાવાસ તરફફી ફાઉન્ડેશનના દિવ્યાંગો પરના પ્રોજેક્ટ માટે તેમજ ભારત અને ચીનના સબંધો પરના પ્રોજેક્ટ માટે ૧.૪૫ કરોડનુ ડોનેશન આપ્યુ હતુ.ફાઉન્ડેશનના એકાઉન્ટનુ ઓડિટ પણ થાય છે અને રિટર્ન પણ ફાઈલ કરવામાં આવતુ હોય છે.ડોનેશન અંગે ગૃહ મંત્રાલયને જાણકારી આપવામાં આવી હતી.આઈટી રિટર્નમાં પણ તેનો ઉલ્લેખ કરાયો હતો.બીજુ કે પીએમ રિલિફ ફંડમાંથી ફાઉન્ડેશનને જે રકમ મળી હતી તે રકમનો ઉપયોગ આંદામાન નિકોબારમાં સુનામી સમયે કરવામાં આવ્યો હતો.

Exit mobile version